
ગાંધીનગરઃ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા, અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024’નો આજે પ્રારંભ કરાવતા રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ, પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.
મંત્રી મુળુભાઇ બેરાએ, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસીય સુવિધાઓના વિકાસ માટે વિશેષ ધ્યાન આપી રહી છે, તેમ જણાવી, રોડ અને રેલ્વેની શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાઓ, શાંતિ અને સુરક્ષાને કારણે ગુજરાત, પ્રવાસીઓની પસંદગીનું સ્થળ બન્યું છે તેમ કહ્યું હતું.
ગિરિમથક સાપુતારા ખાતે ‘મેઘ મલ્હાર પર્વ’ નો પ્રારંભ કરાવતા મંત્રીએ સગર્વ જણાવ્યું હતું કે, ગત ઉનાળુ વેકેશનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર બે મહિના દરમિયાન એક કરોડ પાંત્રીસ લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. જે ગત વર્ષની તુલનામાં 17 ટકાથી વધુ છે. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર ‘કૈલાશ માનસરોવર યાત્રા’, ‘સિંધુ દર્શન યાત્રા’ સહિત ‘શ્રવણ તીર્થ યાત્રા’ જેવી યોજનાઓમા પણ આર્થિક સહાય આપી રહી છે તેમ જણાવી, ‘સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ કરવામાં આવ્યો છે, તેમ જણાવ્યું હતું.
સાપુતારા એ ગુજરાતનું એક માત્ર હીલ સ્ટેશન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા આ હીલ સ્ટેશન પર આવતા પ્રવાસીઓને ફરવાનાં આનંદની સાથે સાથે, એક ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ અહી જોવા મળે છે. ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન થોડોક સમય અહીં રોકાયા હતા. એ જ સમયે શબરી માતા સાથે એમનો ભેટો થયો હતો, અને શબરી માતાએ ભગવાન શ્રીરામને મીઠાં બોર ખવડાવ્યા હતા.
તેમ જણાવતા મંત્રીએ, છેલ્લા બે દાયકામાં રાજ્ય સરકારે સાપુતારાની સકલ અને સુરત બદલી નાખી છે. તેથી જ આજે સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તેમ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસન વિકાસના વિઝનને સાકાર કરવા માટે અમારી સરકાર પ્રયાસ કરી રહી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.