
દિલ્હીના માર્ગો ઉપર ફરતા ઓક્સિજન ભરેલા ટેન્કરને ખાલી કરવાની કોઈ જગ્યા જ ન હતીઃ માંડવિયા
દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ઓક્સિજનની અછત અને કોરોનાના મુદ્દા પર બોલતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર ઓક્સિજન ટેન્કરો ફરતા હતા પરંતુ તેમને ખાલી કરવાની કોઈ જગ્યા નથી. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વારંવાર કહ્યું કે આમાં છુપાવવા જેવું કંઈ નથી, કોરોનાને કારણે થયેલા મૃત્યુના આંકડા આપો.તેમણે કહ્યું કે, દિલ્હીના રસ્તાઓ પર ફરતા ટેન્કરોને ખાલી કરવાની કોઈ જગ્યા નથી. ઓક્સિજનના મુદ્દે અને મૃત્યુના મુદ્દે ઘણું રાજકારણ થઈ રહ્યું છે. વડા પ્રધાન કહેતા રહ્યા કે મૃત્યુની સંખ્યા છુપાવવાની જરૂર નથી. કેટલાક રાજ્યોએ જરૂરિયાત કરતાં વધુ ઓક્સિજનની પણ માંગ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, અમે તમામ રાજ્યોને આ અંગેના આંકડા પૂછ્યા હતા. 19 રાજ્યોએ આનો જવાબ આપ્યો પરંતુ માત્ર પંજાબે જ ઓક્સિજનની અછતને કારણે શંકાસ્પદ મૃત્યુ થયાની જાણ કરી. અગાઉ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે ઓક્સિજનની અછતના કારણે મૃત્યુનો કોઈ ડેટા નથી. આ પછી વિપક્ષી દળોએ સરકારના આ નિવેદન પર નિશાન સાધ્યું હતું.
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં ‘અભદ્ર વર્તન’ બદલ સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદોએ શુક્રવારે સંસદ પરિસરમાં તેમની સામેની કાર્યવાહીના વિરોધમાં ધરણા ચાલુ રાખ્યા હતા. બીજી તરફ ભાજપના કેટલાય રાજ્યસભા સભ્યોએ આ સસ્પેન્ડેડ સાંસદોના વર્તન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના રાજ્યસભા સભ્યો છેલ્લા સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં હોબાળો દર્શાવતા પ્લેકાર્ડ લઈને આવ્યા હતા અને તેમાંથી કેટલાકે લખ્યું હતું કે, “લોકશાહી? કે ગુંડાગીરી?” શાસક પક્ષના મહાસચિવ અરુણ સિંહ, સાંસદ સૈયદ ઝફર ઈસ્લામ, રાકેશ સિંહા અને અન્ય ઘણા સભ્યો વિરોધમાં જોડાયા હતા. બીજી તરફ સસ્પેન્શન બાદ રોજેરોજ વિરોધ કરી રહેલા 12 સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોએ આજે પણ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.