Site icon Revoi.in

ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત નહીં સર્જાય, યુરિયા અને DAPનો જથ્થો ફાળવાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ સીઝનના ટાણે જ યુરિયા સહિત રાસાયણિક ખાતરની તંગી સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા. અને દરેક જિલ્લાઓમાં ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગતી હતી. દરમિયાન કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરનો વધુ જથ્થો ફાળવ્યો છે, હાલમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મળીને કુલ 2.08 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા ખાતરનો અને 49 હજાર મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ યુરિયા અને ડીએપીનો પુરતો જથ્થો મળી રહેશે.

રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ગુજરાતમાં રવિ સીઝનમાં દરેક ખેડૂતને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણનું સુદ્રઢ આયોજન કર્યુ છે. હાલ રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારે રવિ સીઝન માટે રાજ્ય સરકારને જરૂરિયાત મુજબનો પૂરતો ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં હાલ દરેક જિલ્લાની જરૂરીયાતને ધ્યાને રાખીને સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં રવિ સીઝનમાં એટલે કે, ઓક્ટોબર-2025થી માર્ચ-2026ના સમયગાળા માટે ભારત સરકારે ગુજરાત માટે યુરિયા ખાતર કુલ 13.90 લાખ મેટ્રિક ટન અને ડી.એ.પી ખાતરના 2.90 લાખ મેટ્રિક ટન જથ્થાની ફાળવણી મંજૂર કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 5.48 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા અને 2.18 લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થયું છે. ગુજરાતમાં ચાલુ રવિ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા કુલ 3.44 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા ખાતર અને 1.68 લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો વપરાશ કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મળીને કુલ 2.08 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા ખાતરનો અને 49 હજાર મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે.

આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આશરે 12,500 મેટ્રિક ટન યુરિયા ખાતર રેલવે રેકના માધ્યમથી વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવ્યું છે, જે પૈકી હાલમાં જુદા-જુદા 7 રેક પોઈન્‍ટથી યુરિયા ખાતરનો સપ્લાય ચાલુ છે. આગામી અઠવાડિયામાં પણ અંદાજે 22,000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો સપ્લાય કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, જેથી રાજ્યના દરેક ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે. આમ, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે અને જરૂરીયાત મુજબ તેની જિલ્લાવાર સપ્લાય ચાલી રહી છે. ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા તેમજ જરૂરિયાત પૂરતું જ ખાતર ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Exit mobile version