- ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી,
- ઈન્જેક્શન આપી એક હાથીને કાબૂમાં લેવાયો,
- પોલીસ-સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના અપાઈ
અમદાવાદ: શહેરમાં આજે અષાઢી બીજના દિને ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નિકળ્યા છે. શહેરના પરંપરાગત માર્ગે ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે રથયાત્રા આગળ વધી રહી છે. ભાવિકો જગદિશના દર્શન કરવા અધિરા બન્યા છે. રથયાત્રા ગાંધી પોળ પહોંચતા આશરે ત્રણ જેટલા ગજરાજ બેકાબુ થયા હતા. ગજરાજ બેકાબૂ થતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, થોડી જ મિનિટોમાં હાથીને કાબૂમાં લેવામાં આવ્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
મળતી માહિતી પ્રમાણે, ગજરાજ ખાડિયાથી આગળ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના ઘટી હતી. આ સ્થિતિને કારણે ટ્રકોને પણ રાયપુરમાં રોકી રાખવામાં આવી હતી. જોકે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે. માનવ મહેરામણની વચ્ચે ગજરાજ બેકાબૂ બન્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં રથયાત્રામાં હાથી બેકાબૂ બન્યાની આ પ્રથમ ઘટના હતી. બેથી ત્રણ હાથીએ દોડધામ કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યાં હતા. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. હાલ પૂરતી પોલીસ અને સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં 148મી રથયાત્રા પરિક્રમાએ નીકળી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી.