ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026: 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતના ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા એટલે કે, 25મી જાન્યુઆરી ,1950ના દિવસે ભારતના ચૂંટણી પંચની રચના થઇ તે તારીખથી ચૂંટણીની આ વ્યવસ્થિત પ્રક્રિયાનો પ્રારંભ થયો અને આજે ભારત વિશ્વમાં સૌથી મોટું લોકશાહી તંત્ર છે. તેમા ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સૌ કોઇના પ્રયાસોના કારણે આજે ભારતે એવી ગરીમા પ્રાપ્ત કરી છે, કે વિશ્વના અનેક દેશોના લોકો રાષ્ટ્રની આ ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા આવે છે.પાછલા ઘણાં વર્ષોમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા કરાવવામા આવેલી નિષ્પક્ષ, સ્વતંત્ર અને ગરિમાપૂર્ણ ચૂંટણીઓ કરાવી છે તેણે દેશની પ્રતિષ્ઠાને ગૌરવ અપાવ્યું છે.
ગાંધીનગર સ્થિત સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજીત 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુલામીની બેડીઓ તોડી લાંબા સમય પછી લોકશાહીની આ સફળ વ્યવસ્થા નિર્માણ માટે આપણા સૌના પૂર્વજોએ બલિદાન આપ્યું છે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુલામી ખુબ જ ખરાબ સ્થિતિ છે, બધી જ વ્યવસ્થાઓ વચ્ચે પણ બેડિઓમાં બંધાયેલી વ્યવસ્થામાં કોઈ પણ જીવને રુચિ નથી હોતી, સુવિધાઓના અભાવમાં જીવન જીવી શકાય છે, પરંતુ બેડીઓમાં બંધાઈને નહીં, આમ જણાવતા રાજ્યપાલશ્રીએ સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવ્યું હતું.
આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે,આપણા પૂર્વજોએે બલિદાનો, સંઘર્ષો અને તણાવપૂર્વ પરિસ્થિતિ ભોગવ્યા પછી ભારતને આઝાદી અપાવીને લોકશાહી તંત્રનો મજબૂત પાયો નાખ્યો હતો જેથી ભારતનું લોકતંત્ર કોઈપણ જાતિવાદ, ભેદભાવથી દૂર રહીને સમરસતાના ભાવ સાથે આગળ વધતા લોકશાહીનો સૌને સમાન અધિકાર આપે છે. ગુજરાતમાં ચૂંટણીની આ પ્રક્રિયાને વ્યવસ્થિત કરવા માટે જે પ્રતિબધ્ધતા અને નિષ્ઠાથી ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સર્વ અધિકારીઓ, કર્મચારીઓએ કાર્ય કર્યું છે, તેમને શુભેચ્છા પાઠવવા સાથે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતને પણ રાજ્યપાલશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે 18 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિ ને સ્વતંત્રતા સાથે જીવવાનો અધિકાર છે, આપણે એવા ભારતનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહીશું જેમાં દેશનો દરેક યુવાન લોકશાહીની ભાવનાને ઉજાગર કરવા ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ અન્ય માટે પ્રેરણા રૂપ બની શકે.
આ ઉજવણી દરમિયાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરએ જણાવ્યું હતું કે, આ દિવસની ઉજવણી મતદાતાઓને સમર્પિત છે, મતદાન પ્રક્રિયાને મતદાતાઓ માટે સરળ, સુદ્રઢ અને પારદર્શક બનાવવા ચૂંટણી વિભાગમાં જોડાયેલા દરેક અધિકારી કર્મચારી સહિત કટિબદ્ધ છે. ઉપરાંત તેમણે આ વર્ષમાં ઇલેક્શન પ્રક્રિયામાં સકારાત્મક બદલાવ લાવવા મહત્વની 30 પહેલ કરી તેને અમલમા મુક્વામા આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે શુદ્ધ મતદાતા સૂચિ એ મજબૂત લોકતંત્રનો આધાર હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભારતના ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિ, રાજ્ય ચૂંટણી પંચના પૂર્વ ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ. મુરલીક્રિશ્ન તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી ડી .આર. ભમ્મર સહિત ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

