1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડીસાના ધાનપુરા ગામે શૌચાલય કૌભાંડ, બારોબાર રૂપિયા ચાઉં કરી દેવાતા 4 સામે ફરિયાદ
ડીસાના ધાનપુરા ગામે શૌચાલય કૌભાંડ, બારોબાર રૂપિયા ચાઉં કરી દેવાતા 4 સામે ફરિયાદ

ડીસાના ધાનપુરા ગામે શૌચાલય કૌભાંડ, બારોબાર રૂપિયા ચાઉં કરી દેવાતા 4 સામે ફરિયાદ

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ફરીવાર શૌચાલય કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ડીસા તાલુકાનાં ધનપુરા ગામમાં શૌચાલયના બાંધકામમાં ગેરરીતિ આચરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવા બદલ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન-મંત્રી, સખી મંડળના લીડર અને ઉપ લીડર સહિત ચાર લોકો સામે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા કૌભાંડકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ડીસા તાલુકાના ધાનપુરા ગામે સરકારના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત ગામના વી.પી.વાઘેલાએ કરી હતી. જે બાબતે ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાતા 57 જેટલા શૌચાલયો બનાવ્યા વગર સરકારી નાણાની બારોબાર ઉઠાંતરી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તાલુકા વિકાસ અધિકારીએ શૌચાલય બનાવનારા ધી ધાનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ અનામિકા સખી મંડળને આ અંગે ખુલાસો કરવા માટે નોટીસ આપી હતી. જેમાં સખી મંડળ અને દૂધ મંડળી દ્વારા એવો ખુલાસો કરાયો હતો કે, તેઓએ શૌચાલય બાંધકામની કામગીરી અન્ય કોન્ટ્રાક્ટરને સોંપી હતી અને તેઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી નથી અને તેઓ બિલકુલ અજાણ છે. જેથી આ જવાબદારી શૌચાલય બનાવનારા કોન્ટ્રાકટરની હોઈ તેની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જોકે તાલુકા વિકાસ અધિકારીએ તેઓનો આ ખુલાસો ગ્રાહ્ય રાખ્યો ન હતો કેમકે સરકારે કામગીરી અનામિકા સખી મંડળ અને ધાનપુરા દૂધ મંડળીને સોંપી હતી અને શૌચાલયનું ચુકવણું પણ તેઓએ સ્વીકારેલું છે. જ્યારે આ બને મંડળીઓએ શૌચાલય બનાવ્યા ન હોવા છતાં રકમ લઈ લીધી હતી. તેમજ અનેક કિસ્સામાં એક જ નામે બે વાર બીલો મુકીને રકમ લીધી હતી.  આ ઉપરાંત કેટલાક લોકોએ સ્વખર્ચે શૌચાલય બનાવ્યા હોવા છતાં તેનું ચૂકવણું કર્યું હતું. જેથી 11 હજાર રૂપિયા લેખે કુલ 57 જેટલા શૌચાલયોની વસુલાત કરવા પાત્ર થાય છે. આમ શૌચાલાયની તપાસ કરતા અને તેમાં ગેરરીતિ આચરી હોવાનું માલુમ પડતાં તપાસને અંતે ધાનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી રમેશ ડાયાભાઈ દેસાઈ, મંડળીના ચેરમેન મગન મશરૂભાઈ દેસાઈ તેમજ અનામિકા સખી મંડળના લીડર દેવિકા પાનાભાઈ પરમાર અને ઉપલિડર હંસાબેન મગનભાઈ વાઘેલા દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સરકારી નાણાંનો દુરુપયોગ કરી નાણાકીય નુકસાન કરેલું હોવીથી તેમની સામે ડીસા તાલુકા વિકાસ અધિકારી આર એન રજપૂતે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code