
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસઃ ઝેરી ભાષણો માટે દિલ્હીના મૌલવીની ગુજરાત ATSએ ધરપકડ કરી
અમદાવાદઃ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે ATSની ટીમે દિલ્હીથી વધુ એક મૌલવીની અટકાયત કરી છે. દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની કટ્ટરવાદી વિચારધારા ધરાવતો હોવાનું અને ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં કૂખ્યાત છે. મૌલવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કટ્ટરવાદીઓએ કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરી હતી. આ બનાવના રાજ્યભરમાં ઘેરા પડધા પડ્યા છે. અને અનેક શહેરોએ બંધ પાળીને વિરોધ કર્યો હતો. પોલીસે બે આરોપીઓ તેમજ અમદાવાદના જમાલપુરના મૌલવી, તેમજ હથિયારો આપનાર શખસને દબોચી લીધો હતો.ગઈકાલે જ આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી હતી. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે પિસ્તોલ અને બાઇક મૂક્યું હતું. પોલીસે આ મુદ્દામાલ કબ્જે કર્યા હતા.
કિશન ભરવાડની હત્યાનો મામલે ગૃહમંત્રીના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ ATSને સોંપવામાં આવી છે. એવામાં ATS હવે સોશિયલ મીડિયાથી લઈને આરોપીઓના કોની કોની સાથે સંપર્ક હતા તે અંગે તપાસ કરી રહી છે. આ અંગે ATSના DySP બી.એચ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપીઓના રિમાન્ડના આધારે પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની પણ તપાસ થશે.
ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, SOGએ આરોપીને ATSને સોંપ્યો છે. જ્યારે ગઈકાલે સાંજે મોરબીની બી ડિવિઝન પોલીસે અજીમના ભાઈ વસીમને પકડી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.