બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનની અવરજવર અટકી,90 ટ્રેનો રદ અને 46 રૂટ ડાયવર્ટ કરાયા
ભુવનેશ્વર:ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ લગભગ 90 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 46 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. આ સાથે, 11 ટ્રેનો તેમના ગંતવ્ય પહેલા જ રોકી દેવામાં આવી છે. અકસ્માતને કારણે અસરગ્રસ્ત મોટાભાગની ટ્રેનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રેલવે ઝોનની છે.
શુક્રવારે થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 મુસાફરોના મોત નીપજ્યાં છે. ભારતીય રેલ્વેના બે ઝોન દ્વારા બહાર પાડવામાં આવેલા નવીનતમ ડેટા અનુસાર, દક્ષિણ પૂર્વીય રેલ્વેએ 3 જૂને ચાલનારી ચેન્નાઈ-હાવડા મેલ, દરભંગા-કન્યાકુમારી એક્સપ્રેસ અને કામાખ્યા-એલટીટી એક્સપ્રેસને રદ કરી દીધી છે. રેલ્વેએ 4 જૂને દોડનારી પટના-પુરી સ્પેશિયલ ટ્રેનને પણ રદ કરી દીધી છે.
આ ટ્રેનો રદ કરવામાં આવી
- દક્ષિણ રેલવેએ 3 જૂને રાત્રે 11 વાગ્યે મેંગલોરથી રવાના થનારી મેંગલોર-સાંત્રાગાચી વિવેક સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 4 જૂને સવારે 7 વાગ્યે ચેન્નાઈથી રવાના થનારી ડૉ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – શાલીમાર કોરોમંડલ એક્સપ્રેસ
- 4 જૂને ચેન્નાઈમાં સવારે 8.10 વાગ્યે રવાના થનારી ડૉ. MGR ચેન્નાઈ સેન્ટ્રલ – સંત્રાગાચી એસી સુપરફાસ્ટ ટ્રેનને પણ રદ કરવામાં આવી છે. દક્ષિણ રેલવેએ રંગપાડા ઉત્તર – ઈરોડ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન રદ કરી
- 6 જૂને ગુવાહાટીથી સવારે 06:20 વાગ્યે રવાના થનાર ગુવાહાટી શ્રી એમ. વિશ્વેશ્વરાય બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 7 જૂને કામાખ્યાથી બપોરે 2 વાગ્યે રવાના થનારી કામાખ્યા – શ્રી એમ. વિશ્વેશ્વરાય બેંગલુરુ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસને પણ રદ કરવામાં આવી છે. રેલવેએ 11 ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન પહેલા રોકવાનો નિર્ણય લીધો છે.
સાઉથ ઈસ્ટર્ન રેલ્વેએ 3જી જૂનના રોજ સાંજે 4.00 વાગ્યે હાવડાથી બાલાસોર સુધી એક વિશેષ મેમુ (MEMU) ટ્રેન ચલાવી છે જેથી અકસ્માતથી અસરગ્રસ્ત મુસાફરોના સંબંધીઓને સ્થળ પર લઈ જવામાં આવે. આ ટ્રેન સંતરાગાચી, ઉલુબેરિયા, બાગનાન, માચેડા, પાંસકુરા, બાલીચક, ખડગપુર, હિજલી, બેલદા અને જલેશ્વર ખાતે ઉભી રહેશે. દક્ષિણ રેલ્વે પણ અકસ્માતથી પ્રભાવિત થયેલા લોકોના નજીકના સગા/સંબંધીઓ માટે ચેન્નાઈથી ભદ્રક સુધી એક વિશેષ ટ્રેન ચલાવી રહી છે.