Site icon Revoi.in

પેટલાદ બ્રિજ ખુલ્લો મુકાતા 40થી વધુ ગામોની અઢી લાખ જનતાને લાભ મળશે

Social Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા 31 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેનો લાભ પેટલાદ અને ખંભાત તાલુકાના 40થી વધુ ગામોની જનતા મળશે.

આ રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, મહેળાવ, બાંધણી, પોરડા, વિશ્નોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, શેખડી, ધર્મજ અને ખંભાત જેવા ગામોની અંદાજિત 2.50 લાખની જનસંખ્યાને સીધો લાભ મળશે. ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પેટલાદ અને તેની આસપાસના તાલુકા વિસ્તારના પ્રજાજનોને આ બ્રિજના નિર્માણથી ફાટક રહીત વાહન વ્યવહાર કરવો સરળ બનશે તથા સમય અને નાણાંની બચત થશે.આ બ્રિજ આણંદ- પેટલાદ- ખંભાતને જોડતો હોવાથી આણંદ જિલ્લાના આણંદ, પેટલાદ, ખંભાત તાલુકાના તમામ વિસ્તારના રહિશોને આ બ્રિજના નિર્માણથી લાભ મળશે.

આ પ્રસંગે બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અન્ય ધારાસભ્ય સર્વશ્રી વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલે તથા પેટલાદ તાલુકાના પદાધિકારીઓ અને આણંદ જિલ્લાના અધિકારીઓએ મુખ્યમંત્રીનું ફૂલહારથી સન્માન કર્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.