અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2026: શહેરના લાંભા વોર્ડમાં મ્યુનિના કાન્ટ્રાકટર દ્વારા ડ્રેનેજ લાઈનની ચેમ્બર માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, અને ખાડા ફરતે બેરીકેડ પણ લગાવ્યા નહતા. ત્યારે બે ગાય અને ત્રણ વાછરડી ઊંડા ખાડામાં પડતા બે ગાયના મોતનિપજ્યા હતા. જ્યારે ત્રણ વાછરડીને બચાવી લેવામાં આવી હતી.
શહેરના લાંભા વોર્ડમાં સૈજપુર-ગોપાલપુર ગામમાં એએમસીના કોન્ટ્રાકટર દ્વારા ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં બે ગાયો પડી જતા બન્ને ગાયોના મોત નિપજ્યા હતા. એએમસીના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ બેદરકારી જોવા મળી છે. ખોદેલા ખાડામાં કોઈપણ પ્રકારનું બેરી કેડિંગ કરવામાં આવ્યું નહોતું જેના કારણે થઈ અને બે ગાયો પડી ગઈ અને મૃત્યુ પામી છે.
લાંભા વોર્ડના સ્થાનિક લોકોના કહેવા મુજબ ત્રણ વાછરડીઓ અને બે ગાયો એમ કુલ પાંચ પશુ ઊંડા ખાડામાં હતા, જેમાંથી ત્રણ વાછરડીને બહાર કાઢી બચાવી લીધી હતી. જ્યારે બે ગાયોના ખાડામાં જ મૃત્યુ થઈ ગયા છે. વહેલી સવારે આ બનાવ બન્યો હતો. એએમસીમા કોન્ટ્રાકટર દ્વારા ગટરની ચેમ્બર બનાવવા માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોમાં કોન્ટ્રાકટર અને મ્યુનિના અધિકારીઓ સામે રોષ જાગ્યો છે.
એએમસીના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીના કહેવા મુજબ, બે ગાયો ખાડામાં પડી હતી. ગોયો ઝઘડી હતી, જેના કારણે ખાડામાં પડી ગઈ હતી અને મરી ગઈ હોવાની જાણ થઈ છે. હાલમાં આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. ખાડાની આસપાસ બેરીકેડિંગ કર્યું હતું. નોંધનીય છે કે, ખાડાની આજુબાજુ ક્યાંય બેરિકેડિંગ દેખાતું નથી, આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ પણ બેરિકેડિંગ કર્યું હોવાનો બચાવ કરી રહ્યા છે.

