
ભાવનગરના સાણોદર ગામના પાટિયા પાસે કાર પલટી જતાં બેના ઘટના સ્થળે મોત
ભાવનગરઃ મહુવા-ભાવનગર હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ગત રાત્રે થયેલા અકસ્માતમાં બે જણાના મોત નિપજ્યા હતા. પૂરફાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના ઊંડા ખાડામાં પલટી ખાઈને ખાબકી હતી. આ બનાવમાં પોલીસે અકસ્માતે માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના તળાજા હાઈવે પર આવેલા સણોદર ગામના પાટિયા પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાળીયામાં ખાબકી હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મોડી રાત્રે બનેલા આ બનવાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે.
પોલીસ સૂત્રોમાંથી અકસ્માતની એવી વિગતો જાણવા મળી છે કે, ભાવનગર-તળાજા હાઇવે પર મોડી રાત્રે હોન્ડા સીટી કાર નંબર જઈ રહી હતી. તે દરમિયાન સાણોદર ગામના પાટિયા પાસે આવેલી વસિલા હોટેલ પાસે કાર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર ખાળિયામાં ખાબકતા બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. જેમા તળાજા તાલુકાના રાજપરા ગામના સરપંચ પરેશભાઈ મકોડભાઈ ધામેલીયા અને તળાજા તાલુકાના પાંચપીપળા ગામના પ્રવીણભાઈ દેવરાજભાઈ ઇટાળીયાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.
બનાવ અંગેની જાણ ઘોઘા પોલીસને કરાતા ઘોઘાના પીએસઆઈ આર.બી.વાઘીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનું પંચરોજ કામ કરી લાશને પી.એમ અર્થે ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. બનાવના પગલે સામાજિક અને રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ગંભીર અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.