1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપરોવા આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે
યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપરોવા આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે

યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપરોવા આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે

0
Social Share

દિલ્હી : યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપરોવા આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ગયા વર્ષે ફાટી નીકળેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પૂર્વી યુરોપીયન દેશની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં ઝાપરોવાની ભારત મુલાકાતની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે,યુક્રેનના વિદેશ બાબતોના પ્રથમ નાયબ મંત્રી એમિન ઝાપરોવા 9 થી 12 એપ્રિલ સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.

ઝાપરોવા વિદેશ મંત્રાલય (MEA)માં સચિવ (પશ્ચિમ) સંજય વર્મા સાથે વાતચીત કરશે. આ દરમિયાન, બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે, યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. સાથે જ એવું માનવામાં આવે છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનની મુલાકાત લેવાનું આમંત્રણ આપી શકે છે. ઝાપરોવા વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસરીને પણ મળશે.

ગયા વર્ષે 4 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરી હતી. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે,યુદ્ધનો કોઈ સૈન્ય ઉકેલ ન હોઈ શકે અને ભારત કોઈપણ શાંતિ પ્રયાસોમાં સહયોગ આપવા તૈયાર છે. જો કે, ભારતે હજુ સુધી યુક્રેન પરના રશિયન હુમલાની નિંદા કરી નથી અને કટોકટીનો ઉકેલ મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા થવો જોઈએ તેવું જાળવી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત યુક્રેન સાથે ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો અને બહુપક્ષીય સહયોગ શેર કરે છે. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,”રાજદ્વારી સંબંધોની સ્થાપના પછીના છેલ્લા 30 વર્ષોમાં, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકારે વેપાર, શિક્ષણ, સંસ્કૃતિ અને સંરક્ષણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ મુલાકાત પરસ્પર સમજણ અને હિતોને વધુ આગળ વધારવાની તક છે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code