HomeગુજરાતીREVOઈમેગેઝિનજીવનઝરૂખોઃ સંઘર્ષમાં ઝળહળતી જિંદગી..

જીવનઝરૂખોઃ સંઘર્ષમાં ઝળહળતી જિંદગી..

Jeevan Jharukho

જિંદગી દુઃખમાં વધુ ઝળહળતી લાગે છે

 નદીમાં હોય છે પથ્થર, તો એ ખળખળતી લાગે છે.

યેસ.. જીવન એટલે સુખ, દુ:ખ,ખુશી અને  પીડાનો સરવાળો.. જીવનમાં પરમ વિષાદની પળો આવે છે તો  ખુશીની છલકતી પળૉ પણ ગેરહાજર નથી જ રહેતી.  દુ:ખ  વિના સુખની કીમત જલદી સમજાતી નથી. રોજ ઘરમાં પ્રકાશ હોય, પંખા કે એસી. ચાલતા હોય ત્યારે એ કેવા સામાન્ય બની રહે છે. પણ  થોડી વાર લાઇટ  જાય ત્યારે એનું મહત્ત્વ અચાનક અનુભવાય છે. અંધકાર વિના પ્રકાશનું મૂલ્ય સમજાતું નથી. જીવનમાં વેદનાનું મૂલ્ય પણ ઓછું નથી.

જીવનમાં જે પીડા અનિવાર્ય છે એની સામે દલીલ કર્યા સિવાય એને સ્વીકારવાની જ હોય ને? હસતા કે રડતા  જે સંજોગો આવે એને સ્વીકારીને એમાંથી રસ્તો કરવાનો..

એમ થોડા મૂંઝાઇ મરી જવાના? અમે તો રસ્તો કરી જવાના.. આવું કવિઓ કહેતા રહે છે. આપણે ખુશ થઇને વાંચતા રહીએ છીએ..પણ અમલને નામે?

ધ્રુવ ભટ્ટ  કહે છે.. તેમઃ

સૂરજ તો ઊગે ને આથમી યે જાય,

 મારી ઉપર આકાશ તો એમ ને એમ છે. ..

એક મજાનું ઉદાહરણ  યાદ આવે છે.

એક રાજાએ દેશના શ્રેષ્ઠ  ચિત્રકારોને બોલાવ્યા અને શાંતિનો સન્દેશ આપતું હોય એવું ચિત્ર દોરવાની એક હરિફાઇ જાહેર કરી. જે ચિત્ર પ્રથમ ક્રમે આવે એના સર્જકને મોટા ઇનામની જાહેરાત કરી.

આ જાહેરાતના પ્રતિસાદમાં અનેક ચિત્રકારોએ પોતાની કલાકૃતિ રજૂ કરી.

સમય મર્યાદા પૂરી થતા રાજા પાસે અનેક સુંદર ચિત્રો આવ્યા. આ જાહેરાતના પ્રતિસાદમા અનેક કલાકારોએ પોતાની ઉત્તમ કૃતિ  રજૂ કરી.

રાજા કલાપારખુ હતો. તેણે એ બધા ચિત્રો ધ્યાનથી એકદમ બારીકાઇથી નિહાળ્યા. અંતે  એમાંથી  તેણે બે ચિત્ર પસંદ કર્યા.  હવે આ બેમાંથી શ્રેષ્ઠ  કયું એ નક્કી કરવાનું હતું.

પહેલું  ચિત્ર હતું એક  શાંત સરોવરનું.. સરોવરની ચારે બાજુ લીલોતરીથી છવાયેલા ઊંચા પહાડો હતા.  સરોવરના  શાંત પાણીમાં  આ પહાડોનું પ્રતિબિંબ, ઉપર સ્વચ્છ,  નીલવર્ણું  આકાશ  અને કયાંક રૂના  આછા ગોટા જેવા શ્વેત વાદળ.. શાંતિની આભા સર્વત્ર છવાયેલી સાફ જોઇ શકાતી હતી. કોઇપણ વ્યક્તિ આ ચિત્ર જુએ એટલે એને એમાંથી પ્રગટ થતી શાશ્વત શાંતિ  અચૂક સ્પર્શી રહે. ચિત્ર ખરેખર ખૂબ સુંદર બન્યું હતું. શાંતિના વિષયને એકદમ અનુરૂપ હતું. બધાને થયું કે નંબર તો આ ચિત્રને જ મળશે.

હવે રાજાએ બીજા ચિત્રને ધ્યાનથી નિહાળ્યું.

બીજા ચિત્રમાં પણ પહાડો હતા. પરંતુ એ સાવ સૂકા ભઠ અને ઉબડખાબડ..  ઉપર ગગનનુ રૌદ્ર સ્વરૂપ દીસતું હતું.  મુશળધાર વરસાદ અને વીજળીના કડાકાભડાકાઓથી  કુદરતનું બિહામણુ  સ્વરૂપ સર્જાયું હતું.  પહાડો વચ્ચે ભયાનક ગતિ સાથે પાણીનો ધોધ ધસમસતો હતો. ચિત્રમાં શાંતિનું તો નામોનિશાન નહોતું. બધા કહેતા હતા..ચિત્રકાર વિષય જ ભૂલી ગયો છે.

પરંતુ રાજાએ બારીકાઇથીએ ચિત્ર ફરી ફરી  નિહાળ્યું. તો એણે જોયું કે ધોધની પાછળના ખડકની તિરાડમાંથી એક નાનકડો છોડ  ઊગી નીકળ્યો  હતો. અને  એ છોડની વચ્ચે એક ટચુકડા પક્ષીએ પોતાનો માળો બાંધ્યો  હતો.  પાણીના ધસમસતા પ્રવાહના પ્રચંડ અવાજની વચ્ચે  પણ એ પક્ષી શાંત  ચિત્તે પોતાના માળામાં નિરાંતવું બનીને મીઠા  ટહુકા વેરી રહ્યું હતું.

રાજા ખુશ થઇ ગયો. આ ચિત્ર જ  શ્રેષ્ઠ છે. ઇનામ આ બીજા ચિત્રને જ મળ્યું . ત્યારે બધાને આશ્વર્ય થયું. કોઇને સમજાયું નહીં..આ ચિત્રમાં તો શાંતિનું નામોનિશાન નથી દેખાતું. આમાં તો શાંતિને  બદલે તોફાન  દેખાય છે.

ત્યારે રાજાએ કહ્યું, જ્યાં ઘોંઘાટ ન હોય ત્યાં શાંતિ  હોય જ  એ જરૂરી નથી. સાચી શાંતિ ભીતરની  હોય છે. મુશ્કેલીઓ, સંઘર્ષો, ઘોંઘાટો, અનેક તોફાનો વચ્ચે પણ  જે  ભીતરની શાંતિ..સ્વસ્થતા ન ગુમાવે એ જ સાચી શાંતિ..મુશ્કેલીઓ વચ્ચે પણ જીવનનું સંગીત અટકતું  નથી. અટકવું ન જોઇએ. જેમ કે અહીં આ ચિત્રમાં એક ટચુકડું પક્ષી ધસમસતા ધોધ વચ્ચે પણ પોતાનું જીવનગીત ગાઇ રહ્યું છે. કેમ કે એનું ભીતર શાંત છે.

સાવ સાચી વાત નથી? સુખ, શાંતિના સમયે તો સહુ કોઇ સ્વસ્થતા જાળવી શકે.. મુશ્કેલીના સમયે પણ  જે શ્રદ્ધા ગુમાવ્યા સિવાય, અકળાયા  સિવાય જીવનસંગીત રેલાવી શકે એ જ સાચો માનવી. ઇશ્વરે આપેલા સુખનો..ખુશીનો આપણે સ્વીકાર કરીએ છીએ તો એના જ આપેલા દુખનો અસ્વીકાર કેમ કરી શકીએ ?

દુઃખ, પીડા તો જીવનને સમજવાની શક્તિ આપે છે. જીવનને જાણવાની તક આપે છે.

ના દેખાયું તેજ અંબારે,

જોયું મેં ઘન અન્ધારે.

સુખની ક્ષણોમાં અમુક સત્યો ન સમજાય એવું બને..પણ પીડા જીવનના અનેક સત્યો આપણી સમક્ષ ઉજાગર કરી રહે છે.

નીલમ દોશી
નીલમ દોશી
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular