Site icon Revoi.in

વડોદરામાં 1800થી વધુ જર્જરિત મકાનોના માલિકોને મ્યુનિએ ફટકારી નોટિસ

Social Share

વડોદરા, 11 જુન, 2026 : Notices issued to 1800 dilapidated houses શહેરના જુદા જુદા વિસ્તારોમાં 1800થી વધુ મકાનો જર્જરિત હાલતમાં છે. ચોમાસા દરમિયાન કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 1800થી વધુ જર્જરિત મકાનોના માલિકોને તાત્કાલિક સમાર કામ કરવા અને અતિ જર્જરિત હોય એવા મકાનો ઉતારી લેવા નોટિસ ફટકારવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જોખમી અને અતિ જર્જરિત મિલકતો સામે કડક વહીવટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિની જુદી-જુદી ઝોનલ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 191 જેટલા અત્યંત જોખમી મકાનોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં સૌથી જર્જરિત મકાનો વોર્ડ 14માં આવેલા છે. અહીં આવેલા મકાનો પૈકી કેટલાક સર સયાજીરાવ ગાયકવાડ સમયના પણ છે. આ પૈકી કેટલાક મકાનો નવા બનાવી દેવાયા છે તો કેટલાક મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે. વોર્ડ 14માં જ 788 જેટલા જર્જરિત મકાનો છે. અત્યાર સુધીમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી સત્તાવાર રીતે 191 જોખમી મકાનો કે તેના ભાગોને તોડી પાડવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. આ ઉપરાંત, 11 જેટલા મકાનમાલિકોએ નોટિસ મળ્યા બાદ પોતાના મકાનનું જરૂરી સ્ટ્રક્ચરલ સમારકામ કરાવી લેતાં તે મકાનોને હવે તંત્ર દ્વારા ‘નિર્ભય’ જાહેર કરાયા છે. હજુ પણ વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે મકાનધારકોના મકાનો જર્જરિત છે, તેઓને તાત્કાલિક સમારકામ કરવા અંગેની સૂચના આપવામાં આવી છે.

વીએમસીના આધિકારીઓના કહેવા મુજબ જે વિસ્તારમાં જર્જરિત મકાનો આવેલા છે અને લોકો તેમાં વસવાટ કરી રહયા છે તેઓને તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે અને તેઓને અન્યત્ર સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન કોઈ જાનહાની ન થાય અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે કોર્પોરેશન હાલમાં નોટિસ પાઠવી લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી રહી છે.

Exit mobile version