નવી દિલ્હીઃ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન ધનખર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની પુણ્યતિથિ નિમિત્તે જયપુરમાં ભૈરોં સિંહ શેખાવત મેમોરિયલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે.
ભૈરોં સિંહ શેખાવતે 19 ઓગસ્ટ 2002 થી 21 જુલાઈ 2007 સુધી ભારતના 11માં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ભૈરોં સિંહ શેખાવતે 1952માં રાજસ્થાન વિધાનસભાના સભ્ય તરીકે જાહેર જીવનમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં ત્રણ કાર્યકાળ માટે રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
ભૈરોં સિંહ શેખાવતની 15મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર ખાસ વિમાન દ્વારા દિલ્હીથી જયપુર જવા રવાના થશે. જે બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા વિદ્યાધર નગર સ્ટેડિયમ સ્થિત કાર્યક્રમ સ્થળે પહોંચશે. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, સંસદ સભ્ય શ્રી મદન રાઠોડ અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.