વિટામિન C માત્ર પોષક તત્વ નહીં, શરીરનો સુપરહિરો
Human body આપણા શરીરમાં વિટામિન C (એસ્કોર્બિક એસિડ) ની ભૂમિકા માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દરેક કોષ માટે એક ‘સુપરહીરો’ સમાન છે. મોટાભાગના લોકો તેને સામાન્ય વિટામિન ગણે છે, પરંતુ તેની ગંભીર ઉણપથી પેઢામાંથી લોહી નીકળવું, જૂના રૂઝાયેલા ઘા ફરી ખુલી જવા અને દાંત પડી જવા જેવી ભયાનક સમસ્યાઓ સર્જાઈ શકે છે.
માનવ શરીરની મર્યાદા એ છે કે તે વિટામિન C જાતે બનાવી શકતું નથી અને તેને લાંબા સમય સુધી સંગ્રહિત (Store) પણ કરી શકતું નથી. આથી, તેને દરરોજ આહાર દ્વારા લેવું અનિવાર્ય છે. વિટામિન C કોષોને પરસ્પર જોડી રાખવાનું મહત્વનું કાર્ય કરે છે.
- કોલેજનના નિર્માણ માટે અનિવાર્ય
વિટામિન C નું સૌથી મહત્વનું કાર્ય ‘કોલેજન’ પ્રોટીનનું નિર્માણ કરવાનું છે. આ પ્રોટીન ત્વચા, હાડકાં, નસો અને સાંધાઓને મજબૂતી આપે છે. જો શરીરમાં પૂરતું વિટામિન C હોય, તો જ ત્વચામાં ચમક જળવાય રહે છે અને સાંધા મજબૂત બને છે.
શાકાહારી લોકો માટે વિટામિન C વરદાન સમાન છે. જો તમે આયર્નયુક્ત ખોરાક લો છો પરંતુ શરીરમાં વિટામિન C ની ઉણપ છે, તો શરીર આયર્નને શોષી શકતું નથી. પરિણામે એનીમિયા (લોહીની ઉણપ) જેવી બીમારીઓ થઈ શકે છે.
- કોને કેટલી જરૂર છે?
તંદુરસ્ત જીવન માટે દરરોજ નીચે મુજબની માત્રા જરૂરી છે:
- પુરુષો: આશરે 90 મિલિગ્રામ
- મહિલાઓ: 75 મિલિગ્રામ
- સગર્ભા મહિલાઓ: 85 થી 120 મિલિગ્રામ
ઉણપના લક્ષણો અને સ્ત્રોતઃ જો તમે વારંવાર શરદી-ઉધરસનો શિકાર બનો છો, થાક લાગે છે કે પેઢામાં સોજો આવે છે, તો તે વિટામિન C ની ઉણપ હોઈ શકે છે. તેની ગંભીર ઉણપથી ‘સ્કર્વી’ નામનો રોગ થાય છે.
શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત: વિટામિન C મેળવવા માટે આમળા સર્વશ્રેષ્ઠ છે. આ ઉપરાંત જામફળ, કીવી, લાલ સિમલા મરચાં, સંતરા, લીંબુ, પપૈયું, સ્ટ્રોબેરી અને બ્રોકલીનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. તે એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ છે જે કેન્સર અને હૃદયરોગના જોખમને પણ ઘટાડે છે.
આ પણ વાંચોઃ સરકારનો માઓવાદ પર અંતિમ હુમલો, 2026 સુધી સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય


