ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય
શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરે આવતા મહેમાનનો પ્રેમ અને આદરથી સ્વાગત કરવું જોઈએ. મહેમાનને ભગવાન સમાન કહેવામાં આવે છે. મહેમાન જ્યારે ઘરે આવે તો તેની સારી રીતે સંભાળ લેવી જોઈએ. જ્યારે કોઈના ઘરે મહેમાન આવે તો સૌથી પહેલા તેને પાણી આપવામાં આવે છે. પરંતુ કેટલાક ઘરોમાં હવે રિવાજ બદલી રહ્યા છે. કેટલાક ઘરમાં લોકો આવે તો પાણી પીધા વિના જ પાછા ફરી જાય છે. તો કેટલાક ઘરમાં મહેમાને જાતે પાણી માંગવું પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહેમાનને આપવામાં આવતું પાણી વ્યક્તિનું ભાગ્ય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં કહેવાયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મહેમાન બનીને ઘરે આવે તો તેને પાણી પીવડાવવું જ જોઈએ. જો ઘરે આવેલી વ્યક્તિ પાણી પીધા વિના તમારા ઘરમાંથી જાય છે તો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી પડે છે. ખાસ કરીને રાહુ ગ્રહના નકારાત્મક પ્રભાવનો સામનો કરવો પડે છે.
જ્યારે રાહુ ગ્રહ નબળો હોય છે કે તેનો નકારાત્મક પ્રભાવ જીવન પર હોય તો વ્યક્તિને માનસિક ચિંતાનો સામનો કરવો પડે છે. સાથે જ મનમાં પાર્ટનરને લઈને શંકા, માતા પિતા સાથે ખરાબ સંબંધ, ભયની લાગણી પણ વધે છે. રાહુ ગ્રહ ખરાબ હોય તો પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડે છે.
ઘરે આવેલા વ્યક્તિને પાણી પીવું છે કે નહીં તેવું પૂછવું પણ નહીં. ઘરમાં કોઈ આવે તો પાણીનો ગ્લાસ હંમેશા આપવો જ જોઈએ. જો આવનાર વ્યક્તિ ગ્લાસમાંથી થોડું પાણી પીવે અને થોડું બચી જાય તો આ પાણીનો ઉપયોગ ઘરમાં કરવો નહીં. આ પાણીને કોઈ છોડમાં પધરાવી દેવું અથવા તો ફેંકી દેવું. આવું એટલા માટે કે શક્ય છે કે સામેની વ્યક્તિ નેગેટિવ એનર્જી સાથે ઘરમાં આવી હોય. તેની એનર્જી તે પાણીમાં પણ આવી જાય છે ત્યાર પછી તે પાણી અન્ય કોઈ વ્યક્તિ પીવે કે તેનો ઉપયોગ કરે તો તેમનામાં પણ નેગેટીવ પ્રભાવ જોવા મળે છે. તેથી કોઈએ પીધેલું પાણી ક્યારેય પીવું નહીં. કોઈના ઉપયોગમાં લીધેલા ગ્લાસને પણ સાફ કર્યા વિના ઉપયોગમાં લેવો નહીં.