- વંદે માતરમના ગાન સાથે “હર ઘર તિરંગા”લહેરાવવાનો વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો
અમદાવાદ, 14 ઓગસ્ટ, 2026: અમદાવાદસ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઈએમસીજે)ના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્ર ગાન વંદે માતરમ પર તૈયાર કરવામાં આવેલી એક શોર્ટ ફિલ્મ નિહાળી તેના ઐતિહાસિક પાસાઓથી વાકેફ થયા હતા. હર ઘર તિરંગા લહેરાવવાનો વિદ્યાર્થીઓએ સંકલ્પ પણ લીધો હતો.
આજે એનઆઈએમસીજે ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ બંકિમચંદ્ર ચેટરજી દ્વારા રચિત આઝાદીનું સંગ્રામનું મહાકાવ્ય અને રાષ્ટ્રગાન એવા વંદે માતરમ પર બનાવવામાં આવેલી સંસદ ટીવીની શોર્ટ ફિલ્મ વિદ્યાર્થીઓએ નિહાળી હતી.આ શોર્ટ ફિલ્મમાં વંદે માતરમનું નિર્માણ અને તેનું ભારતની આઝાદીની લડાઈમાં રહેલું અમૂલ્ય યોગદાન તથા તેની વર્તમાન પ્રસ્તુતિ સંદર્ભે વિદ્યાર્થીઓ વાકેફ થયા હતા.

ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પોતાના ઘરે તિરંગો લહેરાવવા સંકલ્પ લીધો હતો. શોર્ટ ફિલ્મ નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વંદે માતરમનું ગાન કર્યું હતું તથા રાષ્ટ્ર ગીતનું પણ ગાન કર્યું હતું.કાર્યક્રમના અંતે સહુને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે સંસ્થાના નિયામક પ્રો (ડો) શિરીષ કાશીકર, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો ડો ગરીમા ગુણાવત, શ્રીમતી રીતુ શર્મા, લાઇબ્રેરીયન માનસી સરવૈયા તથા સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

