વંદે માતરમ ગાશો તો આસમાન તૂટી નહીં પડેઃ કલકત્તા હાઈકોર્ટની ફટકાર
કોલકાતા, 5 ઓગસ્ટ, 2026 – મદરસાઓમાં ‘વંદે માતરમ‘ ન ગાવાના વિવાદ સંદર્ભે કલકત્તા હાઈકોર્ટે સખત ટિપ્પણી કરી છે. આ મામલે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) અંગે હાઈકોર્ટે હવે કેન્દ્ર સરકાર પાસે એફિડેવિટ માંગી છે. આ કેસની આગામી સુનાવણી 16 સપ્ટેમ્બરે થશે. તે પહેલાં કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે. રાજ્ય મદરસા વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યની તમામ મદરસાઓમાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત કર્યું હતું.
મીડિયા અહેવાલ મુજબ કાર્યકારી ચીફ જસ્ટિસ (ACJ) તપોવ્રત ચક્રવર્તીએ આ મામલે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “દેશમાં એવી હજારો ખ્રિસ્તી સ્કૂલો છે જ્યાં તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના કરવાનું કહેવામાં આવે છે. તો શું કોઈ ચોક્કસ ધર્મના વિદ્યાર્થીઓનો સમુદાય એવો સવાલ ઉઠાવે છે કે તમે મને એવી બાબતો ગાવા માટે કેમ કહો છો જે ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલી છે? આનાથી કોઈ આભ તૂટી નહીં પડે. જો મને મારા ધર્મનું ન હોય તેવું કોઈ વાક્ય દોહરાવવાનું કહેવામાં આવે તો શું થશે? શું હું તે ગાવાથી કોઈ અલગ ધર્મનો માણસ બની જઈશ?”
PIL એક્ટિવિસ્ટના વકીલે શું દલીલ કરી?
જાહેર હિતની અરજી દાખલ કરનાર એક્ટિવિસ્ટ તરફથી સિનિયર વકીલ બિકાસ રંજન ભટ્ટાચાર્યએ તર્ક આપ્યો હતો કે કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં વંદે માતરમના તમામ છ કડીઓ (સ્ટાન્ઝા)ને ફરજિયાત કરી દેવામાં આવ્યા હતા.
તેમણે દલીલ કરી હતી કે, “આવું કેવી રીતે કરી શકાય? જ્યારે બંધારણ અપનાવવામાં આવ્યું હતું, ત્યારે ઊંડા વિચાર-વિમર્શ બાદ નક્કી થયું હતું કે તેની માત્ર પ્રથમ 2 કડીઓ જ રાખવામાં આવશે. જો કોઈ પોતાની મરજીથી ગાવા માંગતું હોય તો મને કોઈ વાંધો નથી, પરંતુ તેને બળજબરીથી લાગુ કરી શકાય નહીં.” બિકાસ રંજન ભટ્ટાચાર્યએ વધુમાં ઉમેર્યું કે, “આનાથી કોમી સૌહાર્દ બગડશે. આપણા દેશને ખૂબ લોહી વહેવડાવ્યા પછી આઝાદી મળી હતી.”


