1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વીજ માંગમાં વધારો થતાં 493 મેગાવોટની ઘટ, વીજળીની અછત 15 દિવસમાં દુર કરાશે
ગુજરાતમાં વીજ માંગમાં વધારો થતાં 493 મેગાવોટની ઘટ, વીજળીની અછત 15 દિવસમાં દુર કરાશે

ગુજરાતમાં વીજ માંગમાં વધારો થતાં 493 મેગાવોટની ઘટ, વીજળીની અછત 15 દિવસમાં દુર કરાશે

0
Social Share

અમદાવાદઃ દેશમાં વીજ કટોકટી સર્જાઈ છે, તેમાં ગુજરાત પણ બાકાત નથી. રાજ્યમાં 493 મેગાવોટની જંગી અછત હોવા છતાં વીજ પુરવઠાની સ્થિતિ 15 દિવસમાં ઉકેલાઈ જશે તેવો રાજ્યના ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ દાવો કર્યો છે. સૌરાષ્ટ્રમાં ખેતીવાડીમાં વીજકાપની ઊભી થયેલી સમસ્યા દુર કરવા રાત્રિ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે,ઈલેક્ટ્રીસિટી એક્ષચેન્જમાંથી યુનિટના રૂ.10.25 ચુકવવા છતાં તેનો બોજો વીજ વપરાશકર્તાઓ પર નહીં પડે, વધુ ભાવે કરાતી ખરીદીનો બોજો સરકાર ઉઠાવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વીજળીની ખેચ છે. માગ વધુ છે અને ઉત્પાદિત પુરવઠો ઓછો છે આથી સરકાર ખાનગી કંપનીઓ પાસેથી વધુ ભાવે વીજળી ખરીદીને ખેડુતોને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખી રહી છે. જોકે, સતત માગ વધતા અત્યારે કૃષિ ક્ષેત્રને મળતી વીજળીમાં કાપ મૂકાયો છે. સમય જતાં પરિસ્થિતિ ન સુધરે તો ઔદ્યોગિક એકમો પર પણ વીજ કાપ આવી શકે છે. એક તરફ સરકાર વીજળીની અછત ન હોવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ સરકાર અઘોષિત પાવર કટ લાગુ કરી રહી છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ કે પછી ગુજરાત વીજ નિયમન પંચમાં ન હોવાથી ગુજરાતના 1.3 કરોડ વીજ જોડાણધારકોએ વરસે દહાડે રૂ. 7 હજાર કરોડનો વધારાનો બોજ વેઠવો પડ્યો છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને યુનિટદીઠ રૂ. 4.50 ના ભાવે ટાટા-સીજીપીએલ પાસેથી 1800 મેગાવોટ, અદાણી પાસેથી 1400 મેગાવોટ વીજળીનો સપ્લાય મળી રહ્યો છે. ગુજરાત સરકારના દસ પાવર પ્લાન્ટ ચાલતા જ નથી. આ પાવર પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા 2735 મેગાવોટ છે. તેમાંનો એક પ્લાન્ટ KLTPS – 4 અને BLTPSના પ્લાન્ટમાં તો યુનિટદીઠ રૂ. 2.80ના ભાવે વીજળી પેદા કરવાને સક્ષમ છે. વીજ કટોકટીના સમયમાં સરકારના દસ પ્લાન્ટ વીજળી જ પેદા ન કરતાં હોય તે એક અત્યંત આઘાતજનક બાબત છે. ઉકઈનો 500 મેગાવોટનો પાવર પ્લાન્ટ તો ઊંચા ઉત્પાદન ખર્ચને કારણે બંધ છે. તેની સામે ઇલેક્ટ્રોનિક એક્સચેન્જમાંથી સરકાર યુનિટદીઠ રૂ. 15ના ભાવે વીજળી ખરીદી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એ રેઢીયાળ વહીવટ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની ગુજરાતની ત્રણ મોટી વીજ ઉત્પાદન કંપનીઓ અદાણી, એસ્સાર અને ટાટા પાવર પાસે ઊંચા ભાવે વીજળી ખરીદી રહી હોવાથી ગ્રાહકોને માથે રૂ. 7 હજાર કરોડનો મોટો બોજ આવી રહ્યો છે. હાઈ પાવર કમિટિએ કરેલી ભલામણોની પણ સરકાર અવગણના કરી રહી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સિનિયર અધિકારીઓ ખોટી રજૂઆત કરી રહ્યા છે તેથી ગુજરાતના વીજ વપરાશકારોને માથે અબજો રૂપિયાનો બોજ આવી રહ્યો છે. વડોદરા સ્થિત અધિકારીઓએ ગુજરાત સરકારને વારંવાર ગેરમાર્ગે દોરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code