નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત આ મુખ્ય વૈશ્વિક કાર્યક્રમે ફરી એકવાર ભારતને “વિશ્વના ફૂડ બાસ્કેટ” તરીકે સ્થાપિત કર્યું અને ફૂડ પ્રોસેસિંગમાં ભારતનું નેતૃત્વ મજબૂત બનાવ્યું. પ્રધાનમંત્રીએ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા પ્રદર્શન પેવેલિયનની મુલાકાત લીધી અને પોષણ, તેલના વપરાશમાં ઘટાડો અને પેકેજિંગના આરોગ્ય પાસાઓમાં સુધારો કરવા પર ભાર મૂકવા બદલ સંતોષ વ્યક્ત કર્યો.
ઉદ્ઘાટન સમારંભ દરમિયાન સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સંદર્ભ, સામગ્રી અને સર્જનાત્મકતાના એક મહત્વપૂર્ણ કાર્યક્રમ તરીકે ઉભરી આવ્યું છે. ભારતની અનન્ય શક્તિઓ, તેની વિવિધતા, માંગ અને સ્કેલ તેને વૈશ્વિક ખાદ્ય અર્થતંત્રમાં નિર્ણાયક સ્પર્ધાત્મક બઢત પ્રદાન કરે છે.” પ્રધાનમંત્રીએ નોંધ્યું કે એકવીસમી સદી વિશ્વ માટે ઘણા પડકારો રજૂ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પણ આવા પડકારો ઉભા થયા છે, ત્યારે ભારતે સકારાત્મક ભૂમિકા ભજવવા માટે આગળ વધ્યું છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં સતત યોગદાન આપ્યું છે.
આ પ્રસંગ્રે નીતિન ગડકરીએ વિશેષ સંબોધન કરતા જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતનું પ્રધાનમંત્રીનું વિઝન ફક્ત દેશના જીડીપીમાં કૃષિ-પ્રક્રિયાનો હિસ્સો વધારીને જ સાકાર થઈ શકે છે. ચિરાગ પાસવાને ગયા સત્રથી લેવામાં આવેલા પગલાંની રૂપરેખા આપી અને ઉદ્યોગને ખાતરી આપી કે તેઓ તેમની અને સરકાર વચ્ચે સેતુ તરીકે કામ કરશે. બ્રિટાનિયા, પેપ્સિકો, અમૂલ, આઈટીસી, નેસ્લે, મોન્ડેલેઝ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, કોકા-કોલા અને મેરિકો જેવી અગ્રણી કંપનીઓના સીઈઓએ તેમના મંતવ્યો શેર કર્યા હતા.