યોગીની ગર્જના: કયામત સુધી બાબરીનું સપનું પૂરું નહીં થાય
લખનૌ, 10 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં એક જાહેર સભામાં વિરોધીઓ અને કટ્ટરપંથીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે લોકો ભારતમાં ફરી ‘બાબરી માળખું’ ઊભું કરવાના સપના જોઈ રહ્યા છે, તેમનું આ સપનું કયામત સુધી પૂરું થવાનું નથી, કારણ કે કયામતનો દિવસ ક્યારેય આવવાનો નથી.
મુખ્યમંત્રીએ કડક લહેજામાં કહ્યું કે, “ભારતમાં રહેવું હોય તો કાયદાનું પાલન કરવું પડશે. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. જે લોકો દેશના કાયદાનો ભંગ કરશે, તેમને માત્ર જહન્નમ જ મળશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી સરકાર જે બોલે છે તે કરીને બતાવે છે. અમે વચન આપ્યું હતું કે, ‘રામલલા આવશે, મંદિર ત્યાં જ બનાવીશું’ અને આજે ભવ્ય મંદિર આપણી સામે છે, તેમાં કોઈને શંકા છે?
યોગી આદિત્યનાથે સનાતન ધર્મ અને ભારતની વિરાસત પર ભાર મૂકતા કહ્યું કે, “વડાપ્રધાન મોદીએ 25 નવેમ્બરે અયોધ્યા ધામમાં શ્રીરામ મંદિરે ભવ્ય કેસરી ધ્વજ લહેરાવ્યો હતો. આ કેસરી ધ્વજ હંમેશા ભારતનું ગૌરવ વધારતો રહેશે. અમે અમારી ભવ્ય પરંપરા અને સનાતન ધર્મનું સન્માન જાળવી રાખીશું.” તેમણે ઉમેર્યું કે જે લોકો વિભાજનકારી સપના જુએ છે, તેઓ સડી જશે પણ અમે તેમના સપનાને ક્યારેય સાકાર થવા દઈશું નહીં.
આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે મુખ્યમંત્રીનો આ પ્રહાર રાજકીય રીતે ઘણો સૂચક માનવામાં આવે છે. સીતાપુરમાં પણ તેમણે જનતાને ચેતવણી આપતા કહ્યું હતું કે, “જાતિ, ભાષા કે ક્ષેત્રના નામે વહેંચાતા નહીં. જે નેતાઓ તમને જાતિના નામે ભડકાવે છે તેમનાથી સાવધ રહેજો. જો તમે વહેંચાઈ ગયા (બંટગે), તો કપાવાનો (કટગે) રસ્તો આપોઆપ ખુલી જશે.”
આ પણ વાંચોઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના કૂખ્યાત બે ગેન્ગસ્ટરને દબોચી લીધા


