ગુજરાતમાં 10 હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્ત કરાશેઃ શિક્ષણ મંત્રી વાઘાણી
ગાંધીનગરઃ રાજ્યમાં સોમવારથી તમામ શાળા-કોલેજોમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ ઓફલાઈન શરૂ થશે. ત્યારે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે આગામી તા. 21મીને સોમવારથી ઓનલાઈન શિક્ષણ બંધ કરીને તમામ શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ત્યારે ગામડાંની ઘણીબધી શાળાઓમાં શિક્ષકોની સારી એવી ઘટ છે. સરકાર વિદ્યાસહાયકોની ભરતી કરે તો પણ સમય લાગે તેમ છે. આથી તાત્કાલિક 1000 જેટલા પ્રવાસી શિક્ષકોની સીધી ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે. તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.10.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શિક્ષણમંત્રીએ તાજેતરમાં પ્રસે કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ 10 ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી. તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. આ નિર્ણયથી લગભગ 3-4 હજાર શિક્ષકો છૂટા થઈ જશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.
રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકોના નિયમો શિક્ષણ વિભાગે રાજ્યના શિક્ષકોના સંગઠન સાથે બેઠક યોજી હતી. જે બાદ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને 10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના આ નિર્ણય સીધી રીતે રાજ્યના 2 લાખ શિક્ષકોને અસર થશે.