સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા સબબ 15 સાંસદો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરાયાં
નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી પાર્ટીઓએ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો, તેમજ ગૃહ મંત્રી અમિત શાહ જવાબ આપે તેવી માંગણી કરી હતી. આ દરમિયાન લોકસભાના સ્પીકરએ હંગામો કરવાના આરોપ સબબ વિપક્ષી પાર્ટીઓના લગભગ 15 જેટલા સાંસદોને સત્ર સમાપ્તી સુધી સપ્સેન્ડ કરવા નિર્દેશ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના સ્પીકરે કોંગ્રેસના સભ્ય ટીએન પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન કિરિયાકોસને શિયાળુ સત્રના બાકી બચેલા સમય માટે સસ્પેન્ડ કર્યા હતા. જે બાદ હંગામો અટક્યો ન હતો, જેના પરિણામે વધુ 9 સભ્યને પણ શિયાળુસત્ર માટે સસ્પેન્ડ કર્યાં હતા. જેમાં કોંગ્રેસના બેની બેહનન, મોહમ્મદ જાવેદ, સીપીઆઈએમના પી.આર.નટરાજન, ડીએમકેના કનિમોઝી, કોંગ્રેસના વી.કે.શ્રીકંદન, કે સુબ્રમણ્યમ, ડીએમકેના એસઆર પાર્થિબન, સીપીઆઈએમના એસ.વેંક્ટેશન અને કોંગ્રેસના મનિકમ ટૈગોરનો સમાલેશ થાય છે.
આ પહેલા રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને સસ્પેન્ડ કરવામાં આવતા વિપક્ષી પક્ષોના સાંસદોએ રાજ્યસભામાં જોરદાર હંગામો મચાવ્યો હતો. જેના પરિણામે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોઈએ લોકસભામાં કહ્યું હતું કે, અમે સહમત છીએ કે ગઈકાલે બનેલી દુર્ભાગ્ય પૂર્ણ ઘટના લોકસભા સભ્યોની સુરક્ષામાં ગંભીર ચુક છે અને આ અંગે લોકસભાના અધ્યક્ષના નિર્દેશ અનુસાર ઉચ્ચસ્તરીય તપાસ શરુ કરવામાં આવી છે. આ મુદ્દા ઉપર કોઈ સભ્ય પાસેથી રાજનીતિની અપેક્ષા રાખી ના શકાય, આપણે રાજનીતિને સાઈડ ઉપર મુકીને કામ કરવું જોઈએ. સંસદની સુરક્ષામાં ચુકની અગાઉ પણ ઘટના બની હતી અને જે તે સમયે લોકસભાના અધ્યક્ષોના નિર્દેશોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.