અમદાવાદ જિલ્લાના 3 લાખ રેશનકાર્ડ ધારકો તંત્રના પાપે અનાજના પુરવઠોથી વંચિતઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાત સરકારના ગેરવહીવટ-ભ્રષ્ટાચારી રીતરસમો – બિન આયોજનને લીધે સાતમ-આઠમ – જન્માષ્ટમીના તહેવારોમાં અમદાવાદ જિલ્લાના 3 લાખ કરતા વધુ રેશનકાર્ડ ધારકો ખાંડ, તેલ વિના રઝળી પડ્યા છે. તહેવારો દરમિયાન જ રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. સાતમ આઠમના તહેવાર ઉપર જ રેશન કાર્ડ ધારકો રાહતદરના અનાજના જથ્થાથી વંચિત રહી ગયા છે. તે આ સરકારના વહિવટનો ઉત્તમ નમુનો છે. ગરીબ, સામાન્ય-મધ્યમવર્ગના લાખો પરિવારોને તહેવારોમાં ખાંડ-સીંગતેલ ન પહોંચવા પાછળ ક્યાં પરિબળો જવાબદાર તેની સરકારે તપાસ કરવી જોઈએ. તેમ પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી અને પ્રદેશ મહામંત્રી પંકજસિંહ વાઘેલાએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાતમ આઠમ, જન્માષ્ટમી જેવા તહેવારના સમયે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને વારંવાર રેશનીગનું અનાજ સમયસર ન મળવાની અનેક ફરીયાદો સાથે અને અનેક વખત અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાના કૌભાંડો એ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મળવા પાત્ર ખાંડ, ઘઉં, ચોખા, દાળ મીઠુ, તેલ સહિતની ચીજવસ્તુઓમાં અનેક ગેરરીતિઓ અને ગુણવત્તામાં ગોલમાલ તે અન્ન નાગરિક પુરવઠાની ઓળખ બની ગઈ છે. અમદાવાદ જિલ્લાના 9 તાલુકાની રેશનિંગ દુકાનો સાથે જોડાયેલા ત્રણ લાખ પરિવારોને સાતમ-આઠમ અને જન્માષ્ટમીના તહેવારોમાં વ્યક્તિદીઠ 350 ગ્રામ ખાંડ અને વિશેષમાં રેશનકાર્ડ દીઠ એક કીલો વધારાની ખાંડ સાથે એક કીલો સીંગતેલ છેલ્લા પાંચ દિવસથી વિતરણ ન થવાના કારણે માત્ર અમદાવાદ જિલ્લાના ત્રણ લાખ પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. એકતરફ બેફામ મોંઘવારી, સતત વધતા જતા ભાવો અને બીજીબાજુ આવક ઘટી જવાના કારણે સામાન્ય – મધ્યમવર્ગને તહેવારો કરવા તો કેવી રીતે કરવા તે મોટો પ્રશ્ન છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના રેશનિંગના કેટલાંક દુકાનદારોને ઘઉં, ચોખાનો જથ્થો પણ મળ્યો નથી. કેટલાક દુકાનદારને ઘઉંનો જથ્થો મળ્યો છે. તો કેટલાકને ખાંડનો જથ્થો મળ્યો નથી. દુકાનદાર પુરતો જથ્થો મળશે ત્યારે વિતરણ કરીશું તે અપેક્ષાએ મળેલ જથ્થાનું વિતરણ કરતા નથી. જેથી ૩ લાખ રેશનિંગ કાર્ડ ધારકો તહેવાર દરમિયાન રેશનિંગ અનાજથી વંચિત રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓના મત વિસ્તાર હોવા છતાં અનાજ વિતરણ વ્યવસ્થામાં લોલમલોલ ચાલી રહ્યું હોય તેમ છતાં મંત્રીઓ ચૂપ કેમ? ખાંડ અને તેલના લાભાર્થી અનેક રેશનકાર્ડ ધારકો અનેક જિલ્લામાં વંચિત રહ્યા તે અંગે ભાજપ સરકાર કેમ મૌન છે ?
અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછું ઇન્ટરનેટ અને સર્વરના કારણે રેશનિંગના દુકાનદારો અને ગ્રાહકો પરેશાની વેઠી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યાને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકોને કલાકો લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે તો દુકાનદારોને પણ વિતરણ ન થતાં પુરવઠાનો ભરાવો થયો છે. ફુડ કુપન નહી નીકળતા સસ્તા અનાજની દુકાનદારો જથ્થાનું વિતરણ થઈ શકતુ નથી. સાતમ આઠમના તહેવાર ઉપર જ રેશન કાર્ડ ધારકો રાહતદરના અનાજના જથ્થાથી વંચિત રહી ગયા છે. તે આ સરકારના વહિવટનો ઉત્તમ નમુનો છે. ગરીબ, સામાન્ય-મધ્યમવર્ગના લાખો પરિવારોને તહેવારોમાં ખાંડ-સીંગતેલ ન પહોંચવા પાછળ ક્યાં પરિબળો જવાબદાર તેનો ભાજપ તપાસ કરવી જોઈએ.