સુરેન્દ્રનગર, 12 મે 2026 : 25 incidents of dog bites in a single day શહેરમાં રખડતાં કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અને ડોગ બાઈટના બનાવોમાં પણ વધારો થયો જાય છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો પણ શહેરની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. રખડતા ઢોરોનો તો ત્રાસ છે. અને હવે રખડતા કૂતારોનો ત્રાસ પણ વધી રહ્યો છે. ગઈકાલે મહેતા માર્કેટ સહિતના વિસ્તારોમાં શ્વાન કરડવાના 25થી વધુ બનાવ બન્યા હતા.
સુરેન્દ્રનગરના વઢવાણમાં નવાદરવાજા બહાર, વાડી પ્લોટ, શિયાણીની પોળ, પાંજરાપોળ, ખારવાની પોળ, 60 ફુટ તેમજ 80 ફૂટ રોડ, રતનપર, જોરાવરનગર, મહેતા માર્કેટ પતરાવાળી સહિત રહેણાંક વિસ્તારોની અનેક સોસાયટીઓમાં ડોગ બાઈટના બનાવોમાં વધારો થયો છે. ત્યારે સોમવારે મહેતા માર્કેટ સહિતના વિસ્તારોમાં શ્વાન કરડતા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શ્વાન કરડવાના કારણે ગાંધી હોસ્પિટલમાં 25થી વધુ લોકોએ સારવાર કરાવી હતી.
ગાંધી હોસ્પિટલના તબીબોના કહેવા મુજબ કૂતરું કરડ્યા પછીના પ્રથમ 15 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં છે. એન્ટી-રેબીઝ વેક્સિનનો કૂતરૂ કરડ્યાના દિવસે જ પ્રથમ ડોઝ લેવો જોઈએ. સામાન્ય રીતે 4થી 5 ડોઝ અપાય છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચવા માટે ટિટેનસનું ઇન્જેક્શન લેવું જરૂરી છે. રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન જો કૂતરું ખૂબ જ ખરાબ રીતે કરડ્યું હોય (Category III bite) અથવા લોહી નીકળતું હોય, તો ઘાની આસપાસ આ સ્પેશિયલ સીરમ મૂકવામાં આવે છે. જો કૂતરાના મોઢામાંથી લાળ ટપકતી હોય, તે વિચિત્ર રીતે દોડતું હોય કે વગર કારણે કરડતું હોય, તો તેને હડકાયું ગણી તાત્કાલિક સંપૂર્ણ સારવાર લેવી જોઈએ.


