Site icon Revoi.in

સુરતના અનાવલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3નાં મોત

Social Share

સુરત, 20 એપ્રિલ 2026: 3 killed in accident between car and bike  જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જિલ્લાના ભારીયા ગામ નજીક હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભોરીયા ગામના નજીક પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર એક જ પરિવારના ત્રણના મોત નિપજ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  સાંબા ગામના વતની સતીષ પટેલના પુત્ર આશિષ પટેલ (ઉં.વ. 31), તેમના પત્ની પારુલબેન (ઉં.વ. 26), માતા ઉષાબેન (ઉં.વ. 60) અને 6 વર્ષીય પુત્ર વેદ એક જ બાઈક પર સવાર થઈને લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રવિવારની સાંજે ભોરીયા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી GJ-19-BR-8086 નંબરની અર્ટિગા કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇક પર સવાર પરિવાર હવામાં ફંગોળાયો હતો અને માર્ગ લોહીથી લથપથ થઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં આશિષ પટેલ અને તેમની માતા ઉષાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલી પારુલબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યના એકસાથે થયેલા મૃત્યુને કારણે સાંબા ગામ અને મેડીયા ફળિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અકસ્માતમાં સૌથી વધુ હૃદયદ્રાવક સ્થિતિ 6 વર્ષના વેદની છે. અકસ્માતમાં વેદને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તે હાલ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સૌથી મોટી કરુણતા એ છે કે, આ બાળકે પોતાના માતા-પિતા અને દાદીને પળવારમાં ગુમાવી દીધા છે. હોસ્પિટલના બિછાને પડેલા આ માસૂમને કદાચ હજુ એ ખબર પણ નહીં હોય કે તેના જીવનમાં કેટલો મોટો શૂન્યાવકાશ સર્જાયો છે.

અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનાવલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કારચાલક નિલય રાજેન્દ્ર પટેલ (રહે. વાઘેશ્વર, તા. મહુવા) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

Exit mobile version