વડોદરા: અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વડોદરાના જરોદ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી કાર કન્ટેનર પાછળ ધડાકાભેર ઘૂંસી જતાં કારમાં પ્રવાસ કરી રહેલા ચાર જણાના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.
વડોદરા શહેર નજીક જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અને બે લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પાસે ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને આજે સવારે અકસ્માત સર્જાતા 4 લોકોનાં મોત થયાં હતા, જેમાં 8 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, મૂળ રાજસ્થાનનો અને સુરતમાં રહેતો પરિવાર ઉજ્જૈન દર્શન માટે ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે પાવાગઢ મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા અને ત્યાંથી પરિવાર સુરત પરત ફરી રહ્યો હતો. એ સમયે વડોદરા નજીક જરોદ પાસે આવેલી હોટલ વે વેટ પાસે કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ સમયે કારમાં બેઠેલા 4 લોકોનાં મોત થયાં હતાં, મૃતકોના નામ રઘાજી કિશોરજી કલાલ (ઉ.65), (રહે. પલસાણા, સુરત), રોશન રઘાજી કલાલ (ઉ.40), (રહે. પલસાણા, સુરત), પ્રકાશ રામાજી ગુર્જર (ઉ.35), (રહે. પલસાણા, સુરત), રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉ.08), (રહે. પલસાણા, સુરત) હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માતના બનાવની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યારે જરોદ પોલીસની ટીમે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જરોદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.