Site icon Revoi.in

કપડવંજ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં એક જ પરિવારના 4નાં મોત

Social Share

નડિયાદ, 10 મે 2026: 4 of a family die after drowning in Narmada Canal ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પત્નીએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવતા ત્રણેયને બચાવવા માટે પતિ પણ નહેરમાં કૂદી પડ્યો હતો. જોકે, તમામના ડૂબી જવાથી મોત થતા ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા કેનાલના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, સપનાબેને સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ કેનાલમાં કૂદી પડી હતી. આ બનાવની જાણ થતા સપનાનો પતિ પણ ત્યાં દોડી આવ્યો હતો. પોતાની નજર સામે જ પત્ની અને સંતાનોને પાણીમાં ડૂબતા જોઈ તેને બચાવવા માટે પળનો પણ વિચાર કર્યા વિના પતિએ કેનાલમાં પડતું મૂક્યું હતું. જોકે, કેનાલના પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધુ હોવાથી ચારેય સભ્યો ગરકાવ થઈ ગયા હતા.  આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. કપડવંજ ફાયર બ્રિગેડ અને આંતરસુબા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ, મહિલા અને બંને પુત્રીઓના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

 પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પરિવારમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ઝઘડાને કારણે મહિલાએ આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Exit mobile version