- રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 9ને કોરોના,
- સોલા સિવિલમાં 5 તબીબોને કોરોના પોઝિટિવ,
- અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 471 પહોંચી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ધીમી ગતિએ વધતા જાય છે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ રાજ્યમાં હાલ કુલ એકિટવ કેસ 615 થયા છે. જેમાં 15 દર્દીઓને વધુ સારવારની જરૂર પડતા હોસ્પિટલમાં રાખવા પડ્યા છે જ્યારે 600 દર્દીઓ ઘરમા જ રહીને સારવાર લઈ રહ્યા છે. દરમિયાન રાજકોટમાં આજે કોરોનાનાં વધુ 9 કેસ નોંધાયા છે. તો સામે 7 દર્દીઓ સાજા થયા છે. તેમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક માસુમ બાળકનો પણ સમાવેશ થાય છે.અત્યાર સુધીમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 77 થઈ છે. આજના 7 મળીને કુલ 32 દર્દીઓ સાજા થયા છે. હાલ સિવિલમાં 3 અને હોમ આઇસોલેશનમાં 42 મળી કુલ 45 દર્દીઓ સારવારમાં છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી ઝડપી કરાઈ છે. નવા કેસોની સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. અમદાવાદના સોલા સિવિલમાં સ્કીન વિભાગના 4 અને ગાયનેક વિભાગના 1મળી 5 ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. હાલ તમામ હોમ આઈસોલેશનમાં છે. ગઈકાલે અમદાવાદમાં નવા 70 કેસો નોંધાયા હતા. અને જે સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 471 થઈ છે.
રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, ગઇકાલે 5 જૂન, 2025ના રોજ આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી કુલ 615 કેસ નોંધાયા છે, જેમાં 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે 60 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ LF. 7.9 અને XFG Recombinant હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં આજે જે 9 નવા કેસ નોંધાયા છે તેમાં 10 વર્ષના બાળક સહિત 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. નવા નોંધાયેલા કેસોમાંથી 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. આ દર્દીઓ અમદાવાદ, સુરત અને દિલ્હીથી રાજકોટ આવ્યા હતા. આ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા બહારથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને તેમનું ફરજિયાત સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.