
- એલોપેથીને લઇને આપેલું વિવાદાસ્પદ નિવેદન અંતે બાબા રામદેવે પાછું લીધું
- બાબા રામદેવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને પત્ર લખીને નિવેદન પાછું લીધું
- જીવન રક્ષા પ્રણાલી અને સર્જરીના ક્ષેત્રમાં એલોપેથીએ ઘણો વિકાસ કર્યો છે: બાબા રામદેવ
નવી દિલ્હી: એલોપેથીને લઇને યોગ ગુરુ બાબા રામદેવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જો કે તેમના આ નિવેદન બાદ હોબાળો મચતા અંતે તેઓએ પોતાનું આ વિવાદાસ્પદ નિવેદન પાછુ ખેંચ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને બાબા રામદેવને પત્ર લખ્યા બાદ તેમણે આ નિવેદન પાછુ લીધું હતું.
બાબા રામદેવે નિવેદન પાછું લેતા કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને સંબોધિત કરતા લખ્યું હતું કે, તમારો પત્ર મળ્યો, તે અંગે સારવારની પદ્વતિઓના સંઘર્ષના આ સમગ્ર વિવાદને પૂરો કરતા હું મારું નિવેદન પાછું લઉ છું અને આ પત્ર તમને મોકલી રહ્યો છું.
રામદેવે પોતાની સ્પષ્ટતામાં લખ્યું છે કે, અમે એલોપેથી કે આધુનિક તબીબી સારવારની વિરુદ્વ નથી. અમે માનીએ છીએ કે જીવન રક્ષા પ્રણાલી અને સર્જરીના ક્ષેત્રમાં એલોપેથીએ ઘણો વિકાસ કર્યો છે. આ માનવતાની સેવા છે.
તેમણે કહ્યું હતું કે તેમનો જે વિડીયો રજૂ કરવામાં આવ્યો છે તે કાર્યકર્તાઓ સાથેની એક બેઠકનો છે. જેમાં તેમણે વોટ્સએપ પર આવેલા એક મેસેજને વાંચીને સંભળાવ્યો હતો. પરંતુ જો તેનાથી કોઈની લાગણીઓને ઠેસ પહોંચી છે તો તેમનો મને અફસોસ છે.
આ પહેલા ડો. હર્ષવર્ધને પોતાના પત્રમાં કહ્યું હતું કે કોરોના વિરદ્ધ જંગમાં દિવસ રાત સેવા કરી રહેલા ડોક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય કર્મીઓ ભગવાન સમાન છે. રામદેવના આ નિવેદને કોરોના યોદ્ધાઓનું અપમાન કર્યું છે અને સમગ્ર દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.