નવરાત્રિ 2022ઃ ગાંધીનગર ખાતે મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર સ્વરૂપના અલૌકિક દર્શન
અમદાવાદઃ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં આઠમા નોરતે મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્ધનારીશ્વર સ્વરૂપના અલૌકિક દર્શન થયા હતા, તો મહા પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં ગઈ કાલે આઠમા નોરતે કલ્ચરલ ફોરમમાં 35 હજાર જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરી હતી. અહીં અષ્ટમીએ મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર સ્વરૂપ અર્ધનારીશ્વરના અલૌકિક દર્શન થયા હતા. શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર.
અદભુત અને અલૌકિક દર્શનનો સુંદર નજારો ગાંધીનગરના કલ્ચરલ ફોરમના ગ્રાઉન્ડમાં સર્જાયો હતો. સૃષ્ટિનું કોઈ પણ વ્યક્તિત્વ કે અસ્તિત્વ સ્વતંત્ર નથી. એકમેક સાથે તાણાવાણાથી ગુથાયેલું આ સચરાચર જગત સૃષ્ટિટર્તાનું સુંદર સર્જન છે. આ મહાઆરતીનું આયોજન કલ્ચર ફોરમના આગેવાન કૃષ્ણકાંત ઝા તેમજ હિરેન ભટ્ટ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. આજે નવમાં નોરતાની ઉજવણી કરવામાં આવશે. જ્યારે આવતીકાલે બુધવારે અસત્ય ઉપર સત્યના વિજયના દશેરાની સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે.