ચક્રવાત સિતરંગ 110 કિમીના જોરદાર પવન સાથે બાંગ્લાદેશ પહોંચશે,પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી
કલકતા:સિતરંગ ચક્રવાત મંગળવારે સવારે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી શકે છે.ભારતીય હવામાન વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગે કહ્યું કે,આંદામાન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. અનુમાન છે કે આ વાવાઝોડું 25 ઓક્ટોબરે બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ કરશે.તેની સાથે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
એક અનુમાન છે કે વાવાઝોડામાં પવન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત વચ્ચે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં હળવો અને મધ્યમ વરસાદ પણ તેના કારણે થઈ શકે છે.
આના એક દિવસ પહેલા, શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વમાં નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC) એ કેન્દ્ર અને રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ચક્રવાત 25 ઓક્ટોબરે દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.બેઠકમાં કેબિનેટ સચિવે જણાવ્યું હતું કે માછીમારોને પાછા બોલાવવા જોઈએ અને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને ચક્રવાતી તોફાન ત્રાટકે તે પહેલા સુરક્ષિત સ્થળોએ પહોંચવાની ખાતરી કરવી જોઈએ.