GCCI દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું સફળ આયોજન
અમદાવાદ, 15 મે, 2026 – GCCI દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું સફળ આયોજન થયું હતું. આજે યોજાયેલી આ ભવ્ય સમિટના ઉદઘાટન સત્રમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની (IAS), iFOREST ના પ્રેસિડેન્ટ અને CEO શ્રી ચંદ્ર ભૂષણ, તેમજ અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી પુનિત લાલભાઈ સહિત ઉદ્યોગ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા અમદાવાદના સોલિનેર (Soulinaire) ખાતે ‘GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ ૨૦૨૬’ (GGSS 2026) ની બીજી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ દ્વારા સસ્ટેનેબિલિટી અને ગ્રીન ઇકોનોમી તરફના ભારતના પરિવર્તનમાં ગુજરાતના નેતૃત્વને મજબૂત બનાવવામાં આવ્યું છે. “ગુજરાત: ભારતના સસ્ટેનેબિલિટી વિકાસનું એન્જિન – ૨૦૪૭ અને ૨૦૭૦ સુધીનો માર્ગ પ્રશસ્ત કરવો” થીમ હેઠળ યોજાયેલ આ સમિટમાં ઉદ્યોગ, સરકાર, શૈક્ષણિક જગત અને આંતરરાષ્ટ્રીય મંચોના ૪૦ થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓ અને ૧,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ સમિટ નીતિ નિર્ધારકો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ માટે એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ (ESG) વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટેનું એક પ્રમુખ પ્લેટફોર્મ બન્યું હતું. મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી, એનર્જી અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોની સહભાગીતાએ વૈશ્વિક ડીકાર્બોનાઇઝેશનના પ્રયાસોમાં ગુજરાતની ભૂમિકાને ઉજાગર કરી હતી.
માનનીય મહાનુભાવો અને પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં, GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે સભાને સંબોધિત કરી હતી. તેમણે ESG (એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ) ને માત્ર એક વૈચારિક માળખા સુધી સીમિત ન રાખતા, તેને વ્યવહારિક વ્યાપારિક અનિવાર્યતામાં પરિવર્તિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સંસાધનોની પુનઃચક્રણ પ્રક્રિયા (resource circularity), સામાજિક સમાનતા અને પારદર્શિતા દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં ટકાઉપણું (sustainability) સંકલિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે વ્યવસાયોને લાંબા ગાળાની વૈશ્વિક સ્પર્ધાત્મકતા માટે ‘કાર્બન અવેરનેસ’ (કાર્બન ઉત્સર્જન પ્રત્યે જાગૃતિ) ને વ્યૂહાત્મક જરૂરિયાત તરીકે અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચોઃ સંગ્રહિત અનાજમાં જીવાત નિયંત્રણ માટે હર્બલ સીડ કોટિંગ ટેક્નોલોજીઃ ICAR-DMAPRને પેટન્ટ પ્રાપ્ત
આ પ્રસંગે GCCI ના હોદ્દેદારો શ્રી રાજેશ ગાંધી, સીનિયર ઉપ પ્રમુખ, શ્રી અપૂર્વ શાહ, ઉપ પ્રમુખ, શ્રી બિપેન્દ્રસિંહ જાડેજા, માનદ મંત્રી – રીજનલ અને શ્રી ગૌરાંગ ભગત, માનદ ખજાનચી ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની (IAS) એ ‘નેટ-ઝીરો’ લક્ષ્યાંકો હાંસલ કરવામાં શહેરી સ્થાનિક સંસ્થાઓની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ક્લાયમેટ-રેઝિલિયન્ટ (આબોહવા સામે ટકી શકે તેવા) શહેરના નિર્માણ માટે વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અમદાવાદની અગ્રણી પહેલોની નોંધ લીધી હતી.
iFOREST ના પ્રેસિડેન્ટ અને CEO શ્રી ચંદ્ર ભૂષણે ક્લાયમેટ એક્શન પર વૈશ્વિક પરિપ્રેક્ષ્ય રજૂ કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, 2047 સુધીનો ભારતનો વિકાસ પથ ‘જસ્ટ ટ્રાન્ઝિશન’ (ન્યાયી પરિવર્તન) પર આધારિત હોવો જોઈએ, જે ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય જવાબદારી વચ્ચે સંતુલન જાળવે.
ઉદ્યોગ જગતના અનુભવો અને આંતરદ્રષ્ટિ શેર કરતા, અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી પુનિત લાલભાઈએ “ટ્રિપલ બોટમ લાઈન” (Triple Bottom Line) અભિગમ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. તેમણે નિદર્શન કર્યું હતું કે કેવી રીતે અરવિંદ લિમિટેડ દ્વારા મોટા પાયે વોટર રિસાયક્લિંગ અને રિન્યુએબલ એનર્જીના ઉપયોગનું સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે. તેમણે સ્થાપિત કર્યું હતું કે ઔદ્યોગિક ડિકાર્બનાઇઝેશન એ વ્યાપારી રીતે વ્યવહારુ અને કાર્યકારી રીતે અસરકારક સાબિત થઈ શકે છે.
આ સમિટમાં સસ્ટેનેબિલિટીના વિવિધ મુખ્ય વિષયો પર ટેકનિકલ સત્રો અને પેનલ ચર્ચાઓની શ્રેણી યોજવામાં આવી હતી, જેમાં નીચે મુજબના વિષયોનો સમાવેશ થાય છે:
- ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને સક્ષમ બનાવવા MSME માટે ધિરાણ
- ગુજરાતના લો-કાર્બન ટ્રાન્ઝિશન માટે પૂરક તરીકે કાર્બન માર્કેટ
- સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: તેની ગહન અને વાસ્તવિક સમજ
- સપ્લાય ચેઈન ડિકાર્બનાઇઝેશન: કાર્યક્ષમ ઔદ્યોગિક લોજિસ્ટિક્સના માર્ગો
- ક્લાયમેટ એક્શનમાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા
આ ઉપરાંત, સમિટમાં ‘લો-કાર્બન ટ્રાન્ઝિશન માટે ફ્યુચર-રેડી MSMEs ને સક્ષમ બનાવવા’ પર માસ્ટરક્લાસ અને ‘આધુનિક કાર્યસ્થળોમાં લિંગ વિવિધતા (Gender Diversity)’ પર રાઉન્ડ ટેબલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમાપન સત્રમાં GCCI ESG ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી સમીર સિન્હાએ ભાર મૂક્યો હતો કે આ સમિટ ઉદ્યોગ અને નીતિ નિર્ધારકોને જોડીને વૈશ્વિક ધોરણોને સ્થાનિક સ્તરે લાગુ કરવામાં અને સકારાત્મક પરિણામો લાવવામાં મદદરૂપ થશે.
આ સમિટમાં IIT ગાંધીનગર, IIM અમદાવાદ, સેપ્ટ (CEPT) યુનિવર્સિટી, CEEW અને i-Hub ગુજરાત જેવી ૨૫ થી વધુ અગ્રણી નોલેજ પાર્ટનર સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, વિશ્વની નામાંકિત કોર્પોરેટ કંપનીઓના સસ્ટેનેબિલિટી લીડર્સે પણ તેમના મુખ્ય વ્યવસાયિક કાર્યોમાં ટકાઉપણું લાવવા માટેના શ્રેષ્ઠ અભ્યાસો (best practices) અને વ્યૂહાત્મક રોડમેપ શેર કર્યા હતા.
પર્યાવરણીય જવાબદારી પ્રત્યે GCCI ની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવતા, ‘ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ ૨૦૨૬’ એ સતત બીજા વર્ષે ‘ઓપરેશનલ નેટ-ઝીરો’ સ્ટેટસ પ્રાપ્ત કર્યું છે. લોજિસ્ટિક્સ અને પ્રતિનિધિઓની વરજવરના એડવાન્સ લાઇવ મોનિટરિંગ દ્વારા ઇવેન્ટના કાર્બન ફૂટપ્રિન્ટનું ચોકસાઈપૂર્વક માપન કરવામાં આવ્યું હતું અને એક સુવ્યવસ્થિત સસ્ટેનેબિલિટી પહેલ દ્વારા તેને ઓફસેટ (offset) કરવામાં આવ્યું હતું, જે સુનિશ્ચિત કરે છે કે આ સમિટ તેના પર્યાવરણીય વિઝનને અનુરૂપ રહી છે.
GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ ૨૦૨૬ ઉદ્યોગના તમામ હિતધારકો માટે એક મજબૂત આહવાન સાથે સમાપ્ત થઈ હતી કે તેઓ ગુજરાતની આર્થિક વિકાસની વ્યૂહરચનામાં સસ્ટેનેબિલિટીને કેન્દ્રસ્થાને રાખે અને ૨૦૪૭ સુધીમાં સમૃદ્ધ તથા ‘નેટ-ઝીરો’ ભારતના નિર્માણમાં સામૂહિક યોગદાન આપે.


