પાલનપુર, 5 જુલાઈ, 2026 : Allegations of corruption in the repair of the Banas River bridge બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ઈકબાલગઢ-ખારા ગામને જોડતા બનાસ નદી પરના બ્રિજની મરામત કરવામાં આવી રહી છે. બ્રિજના મરામતના કાર્યમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. તદઉપરાંત સમયમર્યામાં બ્રિજનું કામ પૂર્ણ કરાયુ નથી. આમ સમયમર્યાદાના ભંગને પગલે સ્થાનિક લોકોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ (R&B) ની ઘોર બેદરકારીના કારણે 3 મહિનાથી વધુ સમયથી બ્રિજ બંધ રહેતા 10 થી વધુ ગામના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામજનોએ એકત્રિત થઈને અધિકારીઓની હાજરીમાં પુલનો પિલર તોડી, અંદર માત્ર 1 ઇંચના સળિયા વાપરવામાં આવ્યા હોવાની પોલ ઉઘાડી પાડતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા અમીરગઢ તાલુકામાં ઈકબાલગઢ-ખારા ગામને જોડતા બનાસ નદી પરના બ્રિજને સમારકામ માટે સૌપ્રથમ 62 દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. અને વૈકલ્પિક ડાયવર્ઝન અપાયુ હતું. 62 દિવસની મુદત પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરે વધુ 30 દિવસનો સમય માંગ્યો હતો, જે પણ હવે પૂર્ણ થવા આવ્યા હોવા છતાં કામ ખોરંભે પડ્યું છે. સ્થાનિક રહીશ બાબુભાઈ રબારીના જણાવ્યા અનુસાર, પુલ ચાલુ ન થતાં શાળાએ જતા નાના બાળકો અને અબાલ-વૃદ્ધોએ નદીના જોખમી પટમાંથી પસાર થવું પડે છે અથવા લાંબો ફેરો કરવો પડે છે.
સ્થાનિક આગેવાન મુકેશભાઈ પટેલ અને ચેલાભાઈ રબારીના નેતૃત્વમાં આશરે 500 જેટલા ગ્રામજનો પુલ પર એકઠા થયા હતા. તેમણે આર એન્ડ બી (R&B) વિભાગના અધિકારી મૌલિકભાઈ પટેલ અને કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવ્યા હતા. અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે કામ સ્પેસિફિકેશન મુજબ જ થાય છે, પરંતુ ગ્રામજનોએ તેમની જ હાજરીમાં પુલની પ્રોટેક્શન વોલનો એક પિલર હથોડી વડે તોડી નાખ્યો હતો. પિલર તૂટતા જ અંદર માત્ર 1 થી દોઢ ઇંચ ઊંડાણ સુધી ડ્રિલિંગ કરીને સળિયાના ટુકડા કેમિકલથી ચોંટાડી ઉપરથી સિમેન્ટ દબાવી દીધો હોવાનું સામે આવ્યું હતું, જે જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા
ગ્રામજનોએ તાત્કાલિક ટેન્ડરના નિયમો અને ‘વર્ક ઓર્ડર’ના દસ્તાવેજો જાહેર કરવાની માંગ કરી હતી. અધિકારીએ સાચો વર્ક ઓર્ડર બતાવવાના બદલે અન્ય કાગળો બતાવી ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે ભેરવાઈ જતાં તેમણે ઓફિસથી કાગળો મંગાવવા પડશે તેમ સ્વીકાર્યું હતું. આ દરમિયાન લોકોનો રોષ જોઈને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ કોઈ પણ સંતોષકારક જવાબ આપ્યા વિના સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા.


