1. Home
  2. ગુજરાતી
  3. મણિપુરમાં સ્થિતિ ફરી વણસી:ગોળીબાર બાદ સ્થિતિ તંગ,ટોળાએ IRB ચોકીઓ પર હુમલો કરી હથિયારો લૂંટ્યા
મણિપુરમાં સ્થિતિ ફરી વણસી:ગોળીબાર બાદ સ્થિતિ તંગ,ટોળાએ IRB ચોકીઓ પર હુમલો કરી હથિયારો લૂંટ્યા

મણિપુરમાં સ્થિતિ ફરી વણસી:ગોળીબાર બાદ સ્થિતિ તંગ,ટોળાએ IRB ચોકીઓ પર હુમલો કરી હથિયારો લૂંટ્યા

0
Social Share

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. બેકાબૂ ભીડનું સુરક્ષાદળો સાથે ઘર્ષણ પણ થયું. મણિપુર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદેસર બંકરોનો નાશ કર્યો છે.

માહિતી અનુસાર બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં બીજા IRB યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને દારૂગોળા સહિત ઘણા હથિયારો લૂંટી લીધા. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ મણિપુર રાઈફલ્સની 2જી અને 7TU બટાલિયનમાંથી હથિયારો અને દારૂગોળો છીનવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને ભગાડી દીધા હતા.

આ દરમિયાન સશસ્ત્ર દળો અને બદમાશો વચ્ચે ગોળીબાર પણ થયો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ પણ બદમાશો સામે જવાબી કાર્યવાહી કરી હતી. મણિપુર પોલીસનું કહેવું છે કે સ્થિતિ ફરીથી બેકાબૂ બની ગઈ છે. હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્યો છે.

આ પહેલા ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં સુરક્ષા દળો અને બદમાશો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ હવાઈ ગોળીબાર સાથે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ સાથે મણિપુરના ઇમ્ફાલ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં કર્ફ્યુમાં આપવામાં આવેલી છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવી છે.

મણિપુરમાં 3 મેના રોજ સૌથી પહેલા જાતિ હિંસા શરૂ થઈ હતી. મેઇતી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) માં સમાવવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મણિપુરમાં પ્રથમ વખત જ્ઞાતિ અથડામણ થઈ. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.

મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇતી સમુદાયનો હિસ્સો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. કુકી અને નાગા સમુદાયની વસ્તી 40 ટકાથી વધુ છે. આ લોકો પહાડી જિલ્લાઓમાં રહે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code