- 14 નવેમ્બરને શુક્રવારે અમદાવાદ સહિત 6 જિલ્લામાં કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર, 12 નવેમ્બર, 2025: recovery of deposits and pension amount રાજ્યમાં વિવિધ બેંકોમાં જમા હોય એવી અને દાવો ન કરાયેલી થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પરત મેળવવા માટે ચોથા તબક્કામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા મહિના પહેલા આ અંગેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો હવે ચોથો તબક્કો યોજાશે.
આ શિબિર અમદાવાદમાં તા. 14 નવેમ્બર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ, ખાતે યોજાશે. જ્યારે રાજકોટમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનનું ઓડિટોરિયમ, ભક્તિનગરમાં શિબિર થશે.
આણંદમાં ધીરજલાલ જે શાહ ટાઉન હૉલ, આણંદ – વિદ્યાનગર રોડ, વિવેકાનંદ વાડી, જ્યારે ખેડા જિલ્લા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર, નડિયાદ “યોગી ફાર્મ”, પીપલક રોડ નડિયાદમાં, સુરત જિલ્લાની શિબિર બારડોલી ખાતે આવેલી પ્રજાપતિ સમાજવાડી બારડોલીમાં રાખવામાં આવી છે. તેમજ વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ સભાગૃહ, આજવા રોડ, વડોદરા ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરના માધ્યમથી નાણાકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, નાણા વિભાગના અન્ય પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહી જે લોકોના દાવા વગરના નાણાં નાણાકીય સંસ્થાઓમાં (દાવો ન કરાયેલી થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન) પડ્યા છે, તેવા તમામ લોકોને પોતાના નાણાં પરત મેળવવા અંગેની કાર્યવાહી તેમજ પ્રક્રિયા અંગે વિસ્તૃત જાણકારી આપશે.
ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 01 ઓક્ટોબર 2025થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ શિબિરોમાં લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી પ્રાપ્ત થશે અને રકમના યોગ્ય હકદારને મૂડી પાછી મળે તેવા પ્રયાસ આ શિબિરો દ્વારા કરવામાં આવશે. જિલ્લા કક્ષાની આ શિબિરોમાં જોડાવા લોકોને નમ્ર વિનંતી છે.


