1. Home
  2. Dharma-ધર્મ
  3. વસંત પંચમીઃ સવારે 7.13 વાગ્યાથી સરસ્વતી પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત
વસંત પંચમીઃ સવારે 7.13 વાગ્યાથી સરસ્વતી પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત

વસંત પંચમીઃ સવારે 7.13 વાગ્યાથી સરસ્વતી પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત

0
Social Share

વસંત પંચમીને હિન્દુ ધર્મમાં વિદ્યા, જ્ઞાન, વાણી, સંગીત અને કળાની દેવી મા સરસ્વતીને સમર્પિત એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસ વસંત ઋતુના આગમનનું પ્રતીક છે અને તેને ‘શ્રી પંચમી’ તથા ‘સરસ્વતી પૂજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરી, 2026 ના રોજ દેશભરમાં વસંત પંચમીનો પર્વ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે દિવસે પંચમી તિથિ સૂર્યોદયથી લઈને મધ્યાહન સુધી રહેતી હોય, તે દિવસ સરસ્વતી પૂજા માટે વિશેષ શુભ માનવામાં આવે છે.

  • તિથિ અને પંચાંગ ગણતરી

પંચાંગ અનુસાર, વર્ષ 2026માં મહા સુદ પંચમી તિથિની શરૂઆત 23 જાન્યુઆરીએ વહેલી સવારે 02:28 કલાકે થશે, જ્યારે તેનું સમાપન 24 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ 01:46 કલાકે થશે. ઉદયાતિથિના નિયમ અનુસાર, વસંત પંચમીનો પર્વ 23 જાન્યુઆરી (શુક્રવાર) ના રોજ જ ઉજવવામાં આવશે. આ દિવસે મા સરસ્વતીની પૂજા, વિદ્યારંભ (અક્ષરજ્ઞાન) અને શૈક્ષણિક કાર્યોની શરૂઆત કરવી અત્યંત શુભ મનાય છે.

  • સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજા માટે નીચે મુજબના મુહૂર્ત શ્રેષ્ઠ છે.

પૂજાનો સમય: સવારે 07:13 વાગ્યાથી બપોરે 12:33 વાગ્યા સુધી.

કુલ અવધિ: પૂજા, આરાધના અને વિદ્યા સંબંધી કાર્યો માટે આ સમયગાળો સૌથી અનુકૂળ છે.

અમૃત કાળ: સવારે 09:19 વાગ્યાથી 10:40 વાગ્યા સુધીના સમયને ‘અમૃત કાળ’ તરીકે જોવામાં આવે છે, જે પૂજા માટે વિશેષ ફળદાયી છે.

  • પૂજામાં મંત્રો અને ભોગનું મહત્વ

વસંત પંચમી પર મા સરસ્વતીના મંત્રોનું ઉચ્ચારણ જ્ઞાન, સ્મરણ શક્તિ અને એકાગ્રતા વધારવા માટે કરવામાં આવે છે. સરસ્વતી વંદના અને બીજ મંત્રોના જાપથી મનને શાંતિ મળે છે અને અભ્યાસમાં સ્થિરતા આવે છે.

આ દિવસે દેવી સરસ્વતીને સાત્વિક અને શુદ્ધ ભોજન અર્પણ કરવાની પરંપરા છે. ભોગમાં વિશેષ રૂપે દૂધની બનાવટો, મીઠાઈઓ અને ફળો સામેલ કરવામાં આવે છે. માન્યતા છે કે આવો ભોગ જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક છે, જેનાથી વિદ્યામાં નિરંતર પ્રગતિ થાય છે.

  • સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ

પૌરાણિક કથાઓ મુજબ, બસંત પંચમી એ મા સરસ્વતીના પ્રાગટ્યનો દિવસ છે. આ ઉપરાંત, આ દિવસને રતિ અને કામદેવના પૃથ્વી પરના આગમન સાથે પણ જોડવામાં આવે છે. તેથી, આ પર્વ માત્ર વિદ્યા જ નહીં પરંતુ જીવનમાં સકારાત્મક ઊર્જા અને સંતુલનનું પણ પ્રતીક છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો અને સાહિત્યકારો આ દિવસે વિશેષ આરાધના કરે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પે ફરીવાર નરેન્દ્ર મોદીને અંગત મિત્ર ગણાવી કરી પ્રશંસા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code