ભારત હવે રનવે વગર ઉડી શકે તેવા અત્યાધુનિક રેસ્ક્યુ ડ્રોન વિકસાવશે
બેંગલુરુ, 9 એપ્રિલ 2026: સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે ભારત સરકાર હવે ભારતીય વાયુસેના માટે એક અત્યાધુનિક માનવરહિત વિમાન એટલે કે ડ્રોન વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. આ ડ્રોનની ખાસિયત એ હશે કે તેને ઉડાન ભરવા માટે કોઈ રનવેની જરૂર નહીં પડે અને તે યુદ્ધ દરમિયાન દુશ્મન દેશમાં ફસાયેલા ભારતીય જવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં (કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ) મહત્વની ભૂમિકા ભજવશે.
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટને ‘મેક-1’ શ્રેણી હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ ડ્રોન એવી જગ્યાએ પણ પહોંચી શકશે જ્યાં હેલિકોપ્ટર પહોંચવું મુશ્કેલ હોય. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પાયલટ ધરાવતા વિમાનો કે હેલિકોપ્ટરને જોખમમાં મૂક્યા વગર એર-ક્રૂ કે ઘાયલ જવાનોને બચાવવામાં સક્ષમ હશે. આ પ્રોજેક્ટના ખર્ચનો 70 ટકા હિસ્સો સરકાર અને 30 ટકા ભારતીય કંપનીઓ ઉઠાવશે.
આ ડ્રોન સ્ટ્રેચર સહિત 400 કિલોગ્રામ સુધીનું વજન વહન કરી શકશે અથવા ચાર લોકોને એકસાથે લાવી શકશે. તે સમુદ્ર સપાટીથી 16000 ફૂટ (મહત્તમ 20000 ફૂટ) સુધીની ઊંચાઈએ ઉડી શકશે. તે 200 કિલોમીટરનું અંતર કાપી શકશે અને 45 મિનિટ સુધી એક જ જગ્યાએ હવામાં સ્થિર રહી શકશે. આ ડ્રોનના ઉત્પાદનમાં ઓછામાં ઓછી 50 ટકા સ્વદેશી સામગ્રી વાપરવી અનિવાર્ય રહેશે.
બીજી તરફ, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્વદેશી ટેકનિકથી નિર્મિત ‘પ્રચંડ’ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ઓપરેશન માટે ખાસ ડિઝાઈન કરાયેલા આ હેલિકોપ્ટરની મારક ક્ષમતાની તેમણે પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.
આ અગાઉ સેના પ્રમુખે ઓડિશાના ગોપાલપુર સ્થિત આર્મી એર ડિફેન્સ કોલેજમાં સંકલિત એર ડિફેન્સ ફાયર પાવર કવાયતનું નિરીક્ષણ કર્યું હતું. આ કવાયતમાં આધુનિક નેટવર્ક વાતાવરણમાં વિવિધ વાયુ સંરક્ષણ પ્રણાલીઓ વચ્ચેનો તાલમેલ અને હાઈબ્રિડ હવાઈ જોખમો સામે લડવાની સજ્જતાની ચકાસણી કરવામાં આવી હતી. જનરલ દ્વિવેદીએ સોશિયલ મીડિયા પર વાયુ સંરક્ષણ જવાનોની પ્રતિબદ્ધતાના વખાણ કર્યા હતા.


