ડાંગનો આદિવાસી સમાજ અને મંદિર નિર્માણના માર્ગે ધર્મ જાગરણ: Video
[અલકેશ પટેલ] ડાંગ, 14 જુલાઈ, 2026 – ડાંગ સહિત ગુજરાતના પૂર્વ છેવાડાના સમગ્ર આદિવાસી પટ્ટામાં રહેતા વનવાસી સમુદાયમાં છેલ્લા થોડાં વર્ષથી કંઈક નવી ચેતના જોવા મળે છે. તેનું કારણ આ સમુદાયમાં વિવિધ કારણસર આવેલી જાગૃતિ છે. એ સાચું કે અહીં ઠેરઠેર ખ્રિસ્તી મિશનરીઓએ અનેક દાયકાથી પગપેસારો કરીને હિન્દુ સમાજના વનવાસીઓને તેમનાં મૂળથી અલગ કરી દેવા મથામણ કરતા રહ્યા છે.

મિશનરીઓની આ પ્રવૃત્તિ સદંતર અટકી નથી ગઈ પરંતુ સંઘ-પ્રેરિત વિવિધ વનવાસી કલ્યાણ પ્રવૃત્તિઓ અને હવે SRK નોલેજ ફાઉન્ડેશન તથા ડાંગ પ્રયોશા પ્રતિષ્ઠાનના પ્રો-એક્ટિવ પ્રયાસોથી મિશનરીઓની નકારાત્મક અસર ઓછી થઈ રહી છે. અહીં સ્વામી અસીમાનંદના પ્રદાનને પણ સાદર યાદ કરવું જોઈએ.
સકારાત્મક પ્રવૃત્તિ દ્વારા ધર્મ જાગરણ
ડાંગ સહિત દેશના વનવાસી વિસ્તારોમાં 1111 હનુમાનજી મંદિર સંકલ્પ વિશે આ સ્થળે અગાઉ બે વખત માહિતી લેખ લખાયા છે. (અહીં વાંચોઃ (1) ધર્મો રક્ષતિ રક્ષિતઃ આ સૂત્રને ડાંગમાં ચરિતાર્થ કરવાનું બીડું ઝડપ્યું છે એક સંત અને એક ઉદ્યોગપતિએ (2) ડાંગમાં હનુમાનજીના 311 મંદિરના નિર્માણ પછી દેશભરમાં 1111 મંદિરનો સંકલ્પ . આ એવી રચનાત્મક અને સકારાત્મક પ્રવૃત્તિ છે જેને કારણે ડાંગનો વનવાસી સમાજ ખુશ જણાય છે અને તેમની કાળજી લેવામાં આવી રહી છે એ બાબતે તેમને સંતોષ છે. ખુશ એટલા માટે છે કે હવે તેઓ બાકીના સમાજોથી અલગ હોય તેવું નથી અનુભવતા. હનુમાનજી મંદિરના મુખ્ય પ્રણેતાઓ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને પૂજ્ય પી.પી. સ્વામીની સાથે જોડાયેલા અન્ય સહદાતાઓના પરિવારો વર્ષ દરમિયાન હનુમાન જયંતી ઉપરાંત અન્ય પ્રસંગોએ આ મંદિરોની મુલાકાત લે છે, પરિણામે આ ગામોના વનવાસી સમુદાયોને પણ જાણે તેમનો શહેરી પરિવાર મળી ગયો હોય એવી લાગણી થાય છે.
મંદિર સંકલ્પના સહયોગી દાતાઓ તેમના પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય કે એવા બીજા પ્રસંગ હોય ત્યારે ખાસ સુરતથી ડાંગ આવે છે અને તેમના સહયોગથી બનેલા મંદિરમાં તે દિવસે ઉત્સવનું વાતાવરણ સર્જાય છે, આખું ગામ એકત્ર થાય છે. ધર્મ જાગરણનો આ ઉપાય એટલો બધો સકારાત્મક છે કે હવે કોઈ વિદેશી સંપ્રદાય-પંથ સરળતાથી ભોળવી શકશે નહીં.
પિંડની પૂજા દ્વારા વારસો જીવંત રાખ્યોઃ
શ્રી હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ સમારંભ દરમિયાન 12 જુલાઈએ માળગા ગામે નવ નિર્મિત હનુમાનજી મંદિરની બહારીની દીવાલે અડીને સિંદૂરથી પૂજેલા પથ્થરો જોવા મળ્યા. સ્થાનિક લોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે, એ પૂર્વજોની યાદમાં મૂકેલા પિંડ છે. પરિવારમાં વડીલ મૃત્યુ પામે એટલે એમના નામે ગામના પાદરે એક પિંડ (પથ્થર) મૂકીને તેની પૂજાવિધિ કરવામાં આવે.

અત્યાર સુધી આ બધા પિંડ ગામથી થોડે દૂરની જગ્યાએ હતા. પણ હવે તેને મંદિરની બાજુમાં સ્થાન મળ્યું છે. માળગાનો વનવાસી સમાજ આ સ્થિતિથી ખુશ છે એવું તેમની સાથેની વાતચીત દરમિયાન અનુભવાયું. અનુભવાયું એટલા માટે કે, આ વિસ્તારોમાં મોટાભાગના વનવાસીઓ ગુજરાતી સમજી શકે છે પણ બોલી શકતા નથી. તેમની બોલી આદિવાસી છે અને સાથે ઘણી સંખ્યામાં મરાઠી આદિવાસીઓ પણ અહીં રહે છે જેઓ મરાઠી અને આદિવાસી મિશ્ર ભાષા બોલે છે. સાવ જૂજ વનવાસીઓ ગુજરાતી સમજી અને બોલી શકતા હતા.
આજે આખું ગામ જમશે, પણ સંખ્યા ખબર નથી!
માળગા પછી ખાજુર્ણામાં પ્રાણપ્રતિષ્ઠા હતી. એક તરફ મંદિરમાં ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો હતો અને તેની સામેના ભાગે થોડે દૂર રસોઈ બની રહી હતી. માહોલ જોઈને લાગ્યું કે આ તૈયારી ખાજુર્ણાના લોકો માટે જ હતી.
જઈને પૂછ્યું તો રસોઈયા માધવે કહ્યું, હા ભાત-દાળ અને શાક બનાવ્યું છે. પૂછ્યું કે, રોટલી-રોટલા એવું કંઈ નહીં? તો માધવ કહે, ના, અમારા ભોજન સમારંભમાં આટલું જ હોય. જોકે તરત ઉમેર્યું કે આજે તો આ લોકોએ (અર્થાત આયોજકો) ગાંઠિયા અને બુંદી આપવાના છે.

કેટલા લોકો જમશે એવા પ્રશ્નનો જવાબ ખૂબ મજાનો હતો. ખરેખર તો ઈમોશનલ કરી દે એવો જવાબ હતો માધવનો. તે કહે, અમે સંખ્યા ના ગણીએ. આખા ગામને કહ્યું છે, 1500-2000 જણ તો જમશે. ગામમાં બે ફળિયા છેઃ એક પટેલ ફળિયું અને બીજું કારભારી ફળિયું.
ચોખા દરેક ઘરમાંથી એકત્ર કર્યા છે
મેં પૂછ્યું, આ બધું (ચોખા-દાળ-શાકભાજી) ખરીદીને લાવ્યા કે તમારા બધાને ત્યાં ઉગાડેલું છે? આ પ્રશ્નનો જવાબ પણ મજાનો હતો. માધવે કહ્યું, ચોખા દરેક ઘરમાંથી આવ્યા છે, બાકી દાળ-શાકની વ્યવસ્થા અલગથી કરી છે. સામૂહિક ભોજન માટે દરેક ઘરમાંથી ચોખા મેળવવાની આ “સંઘ”-પ્રથા સમુદાયની એકતા માટે કેટલી મહત્ત્વની છે એ કહેવાની જરૂર ખરી!
હિન્દુ વનવાસી સમાજ તો નિર્મળ છે, પરંતુ…



