ઝારખંડમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના નેતા દેવેન્દ્ર નાથ મહતોની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: ઝારખંડ વિદ્યાર્થી આંદોલનના નેતા દેવેન્દ્ર નાથ મહતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા; રાંચીમાં વિધાનસભા તરફ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં યોજાયેલા મોરચા દરમિયાન તેમની તબિયત બગડી હતી. બ્લડ સુગરનું સ્તર ઘટી જવાથી ડોક્ટરોએ તેમની સ્થિતિ ગંભીર ગણાવી છે. રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને મહતો છેલ્લા નવ દિવસથી ભૂખ હડતાળ પર છે. તેમનો દાવો છે કે ઝારખંડ વિધાનસભા નજીક પોલીસ લાઠીચાર્જ દરમિયાન તેમને ઈજાઓ થઈ હતી.
આંદોલનકારી વિદ્યાર્થીઓ પર પોલીસની અત્યાચાર અને લાઠીચાર્જના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ’ઝારખંડ બંધ’નું એલાન આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદિત્ય સાહુએ જણાવ્યું હતું કે આ બંધ આજે સવારે 8 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી અમલમાં રહેશે. તેમણે ઉમેર્યું હતું કે તમામ આવશ્યક સેવાઓને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઝારખંડ વિધાનસભા નજીક થયેલી અથડામણમાં કેટલાક દેખાવકારો અને પોલીસના ચાર જવાનો ઘાયલ થયા હતા. પોલીસે દેખાવકારો સામે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો તેમજ લાઠીચાર્જ પણ કર્યો હતો. ઝારખંડ વિધાનસભા નજીક દેખાવકારો દ્વારા અનેક બેરિકેડ્સ તોડી પાડવામાં આવ્યા બાદ આ અથડામણ થઈ હતી.
વધુ વાંચો: પશ્ચિમ કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, 132 લોકોનાં મોત


