Site icon Revoi.in

ભાવનગરના બજુડ ગામે જાનૈયા લકઝરી બસમાં બેસે તે પહેલા જ આગ લાગી

Social Share

ભાવનગરઃ જિલ્લાના બજુડ ગામમાં એક પટેલ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો, અને જાન માટે લકઝરી બસ ગામના પાદરમાં આવીને પાર્ક કરવામાં આવી હતી. આજે સવારે જાનૈયાઓ તૈયાર થઈને બસમાં બેસવા માટે જતા હતા. તે સમયે બસના એન્જિનમાં સ્પાર્ક થતાં જ આગ લાગી હતી. અને આગના ધૂંમાડા દેખાતા જાનૈયોઓ બસથી દુર જતા રહ્યા હતા. આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતા બસ બળીને ખાક થઈ હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  જિલ્લાના શિહોર તાલુકાના બજુડ ગામમાં આજે સવારે પટેલ પરિવારના લગ્ન પ્રસંગે ગારીયાધાર જવા માટે આવેલી ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના પાદરમાં ઊભેલી બસમાં જાનૈયાઓ બેસવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન બસના એન્જિનમાં સ્પાર્ક થતાં આગ ભભૂકી ઊઠી હતી. સદનસીબે, સમયસૂચકતા દાખવીને તમામ જાનૈયાઓ બસમાંથી સલામત બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.

આ બનાવની જાણ થતાં જ સોનગઢ પોલીસ અને સિહોર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં બસ સંપૂર્ણપણે સળગી ગઈ હતી. સોનગઢ પોલીસ સ્ટેશનના PSI સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. ભૂમિ ટ્રાવેલ્સના સંચાલકોએ તાત્કાલિક જાનૈયાઓ માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી આપી હતી, જેથી લગ્ન પ્રસંગમાં કોઈ વિક્ષેપ પડ્યો નહતો.