
રાજકોટના એરપોર્ટ પરથી દોઢ કિલો સોના સાથે દિલ્હીથી આવેલો પંજાબનો શખ્સ ઝડપાયો
અમદાવાદઃ રાજકોટ એરપોર્ટ પરથી શુક્વારે સાંજે એક શખ્સ દોઢ કિલો સોના સાથે ઝડપાયો હતો. દિલ્હી ઈન્કમટેકસની બાતમીના આધારે રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટિગેશન વિંગે આ ઓપરેશન પાર પાડયું હતુ જે વ્યકિત ઝડપાયો છે તે પંજાબના અમૃતસરમાં રહેતા હોવાનું ખુલ્યું છે અને તે દિલ્હીથી રાજકોટ સોનું લઈને આવ્યો હતો. દોઢ કિલો સોનું લઈને આવેલો શખસ એરપોર્ટની બહાર નીકળે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યો છે. બિલ અને ખુલાસો આપવા માટે વેપારીને મુદત આપવામાં આવતા તપાસનીશ અધિકારી ખુદ શંકાના દાયરમાં આવ્યા હોવાનું કહેવાય છે.
રાજકોટના એરપોર્ટ પરથી પકડાયેલો શખસને ઈન્કમટેકસ ઓફિસે લઈ જવાયો હતો. જ્યાં તેની મોડે સુધી પુછપરછ ચાલુ રહી હતી. અને આ સોનું કયાંથી ખરીદ કર્યુ, કોને દેવા જવાનું હતુ તે અંગે પુછપરછ કરી હતી પરંતુ રાજકોટ ઇન્કમટેકસ વિભાગ આમાંથી કોઈ માહીતી મળી શકી નહતી. આ પ્રકરણમાં તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે ઈન્કમટેકસના એડિશ્નલ ડાયરેકટર વસંત રાજપુતે તેને બિલ આપવા અને સોના અંગે ખુલાસો આપવા માટે મુદત આપી હતી. જેને કારણે કરદાતાઓ આ બાબતને શંકાની નજરે જોઇ રહ્યા છે. સોનું કાયદેસર સાબિત નહિ થાય તો તે જપ્ત કરવામાં આવશે અને વેપારી પાસેથી ટેકસ વસુલ કરવામાં આવશે.