
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ વધતા જાય છે. ત્યારે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. લગ્ન સમારોહમાં માત્ર 50 લોકો એકઠા થઈ શકે છે તેમજ ઓનલાઈન મંજુરી પણ લેવી જરૂરી છે. ઉપરાંત માસ્ક નહીં પહેરવા, કરફ્યુ હોવા છતા રાત્રે ટહેલવા નિકળવું વગેરેનો ઘણા લોકો ભંગ કરતા હોય છે. પોલીસે રાજ્યમાં 3244 લગ્નોમાં ચેકિંગ હાથ ધરી ગાઈડલાઈન ભંગના 207 ગુના દાખલ કર્યાં હતા. કોરોનાની મહામારીની બીજી લહેર વચ્ચે ચાલી રહેલા લગ્નપ્રસંગોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત ગાઈડલાઈનનો ભાંગ કરવાના અને માસ્ક અંગેના મળીને કુલ 207 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ લગ્નમાં માત્ર 50 લોકોને જ હાજર રાખી શકાય છે. આ માટે રાજ્ય સરકારના પોર્ટલ પર ફરજિયાત નોંધણી કરાવવાની હોય છે, જેના આધારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ મામલે રવિવારે રાજ્યભરમાં પોલીસ દ્વારા 3244 લગ્ન પ્રસંગોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં માસ્ક ન પહેરવા બદલ 146 કેસો તથા અન્ય ગાઈડલાઈનના ભંગ બદલ કુલ 61 ગુનાઓ નોંધીને કુલ 78 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યમાં લગ્ન સમારંભોમાં સરકારની ગાઈડલાઈનના પાલન અંગે પોલીસે ચેકિંગ કરી કાર્યવાહી શરૂ કરી હતી, જે હાલમાં પણ ચાલુ છે. જેમાં 19 ડિસેમ્બર 2020થી 25 એપ્રિલ સુધીમાં પોલીસ દ્વારા કુલ 17,571 લગ્નોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં માસ્ક ન પહેરવા બદલ 727 કેસો કરીને કુલ 149 ગુના નોંધવામાં આવ્યા છે. આ ગુનાઓમાં કુલ 254 આરોપીઓને અટકાયત પણ કરવામાં આવી છે.