Site icon Revoi.in

SG હાઈવે પર નિર્માણાધિન બ્રિજના કામ માટે મુકેલું બેરિકેડ રિક્ષા પર પડતા પ્રવાસીનું મોત

Social Share

અમદાવાદ, 3 મે 2026: Tourist dies after falling on barricade rickshaw શહેરના એસજી હાઈવે પર વાયએમસી કલબ પાસે નિર્માણાધિન ઓવર બ્રિજના નજીક ટ્રાફિકના ડાયવર્ઝન માટે લગાવેલુ બેરિકેડ રિક્ષા પર તૂટી પડતા રિક્ષા પલટી ખાતા એક પ્રવાસીનું મોત નિપજ્યુ હતું. જ્યારે એક પ્રવાસીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના એસજી હાઈવે પર વાયએમસી કલબ પાસે નિર્માણાધિન ઓવર બ્રિજના નજીક ટ્રાફિકના ડાયવર્ઝન માટે લગાવેલુ બેરિકેડ રિક્ષા પર તૂટી પડતા રિક્ષા પલટી ખાતા એક પ્રવાસીનું મોત નિપજ્યુ હતું.  વૈષ્ણોદેવીથી સનાથલ તરફ જઈ રહેલી પાંચ મુસાફરો સાથેની રિક્ષાને અકસ્માત નડ્યો હતો. જ્યારે રિક્ષા આગળથી એક બસ પસાર થઈ ત્યારે તેના પવનના કારણે રોડ પર મૂકેલું ભારે બેરિકેડ (પતરું) રિક્ષા પર પડ્યું હતું, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષા ચાલકનો બચાવ થયો છે, પરંતુ પાછળ બેઠેલા અજય નામના યુવકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે, બિહારથી અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી અર્થે આવેલા શ્રમિકો રિક્ષામાં સવાર હતા.

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ એક મજૂરને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય મુસાફરો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

એસજી હાઈવે પર ઓવરબ્રિજના ચાલુ બાંધકામ દરમિયાન સુરક્ષાના માપદંડોના અભાવને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવાય છે. ડાયવર્ઝન માટે મૂકેલા પતરા યોગ્ય રીતે ફિક્સ ન કરવામાં આવ્યા હોવાથી તે રિક્ષા પર પડ્યા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રકારની ગંભીર બેદરકારી હજુ કેટલા નિર્દોષ લોકોના મોતનું કારણ બનશે તેવો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને બ્રિજની કામગીરીમાં સુરક્ષામાં ચૂક રહી ગઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Exit mobile version