ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પ્રિ-ઇવેન્ટ તરીકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટુરીઝમ કન્વેન્શન 2023 યોજાઈ રહ્યું છે. ગુજરાતના પ્રવાસન નિગમના સમર્થન સાથે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ATOAI) દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનો અને રાજ્યમાં સાહસ પ્રવાસનના (એડવેન્ચર ટુરીઝમ) વિકાસનું આયોજન કરવાનો છે. આ કાર્યક્રમમાં ATOAI તરફથી સલામતી માર્ગદર્શિકા અપનાવવા, પ્રવાસન મંત્રાલયના ધોરણોને અનુસરવા અને ‘લિવ નો ટ્રેસ’ અભિગમને પ્રમોટ કરવા પર ભાર મૂકવામાં આવશે.
ATOAI સંમેલન માત્ર એક બેઠક નથી; તે સહયોગ, નવીનતા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપતા સ્વપ્નદ્રષ્ટાઓનો મેળાવડો છે. વાર્ષિક એડવેન્ચર ટુરીઝમ કન્વેન્શનનો ધ્યેય ટકાઉ, જવાબદાર અને સલામત પ્રથાઓને પ્રોત્સાહન આપીને વિશ્વભરના ટોચના 10 સાહસ પ્રવાસન સ્થળોમાં ભારતનું રેન્કિંગ વધારવાનો છે. આ કાર્યક્રમને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવશે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા કેટલા કાર્બનનું ઉત્સર્જન થાય છે તે માટે ‘કાર્બન નેગેટિવ’ તરીકે આ કાર્યક્રમ આયોજિત થશે. જેમાં કાર્બન કન્વેન્શન અંતર્ગત કાર્બન ફુટપ્રિન્ટ ગણવામાં આવશે અને તેને સંતુલિત કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવશે. પર્યાવરણન જતન અને ટકાઉપણાનો મજબૂત સંદેશ તમામ હિતધારકો સુધી પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નહિ આવે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી, પેમા ખંડુ, ગુજરાતના પ્રવાસન મંત્રી, મુળુભાઈ બેરા, કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવ, સુશ્રી વી. વિદ્યાવતી, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ, હારીત શુક્લા, ATOAI પ્રમુખ, પદ્મશ્રી અજીત બજાજ, ડેપ્યુટી ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ DCOAS (IS&C), લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર અને ગુજરાત ટુરીઝમના મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. સૌરભ પારધી સંબોધન કરશે.
પ્રવાસન સચિવ, હારીત શુક્લાએ આ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, “એડવેન્ચર ટુરીઝમ વૈશ્વિક જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને તે સૌથી મોટા વિશિષ્ટ બજાર તરીકે ઓળખાય છે. ATOAIના સહયોગથી, અમે ગુજરાતમાં એડવેન્ચર ટુરીઝમને એક્સ્પ્લોર કરીશું અને સમગ્ર ગુજરાતમાં એડવેન્ચર પ્રવૃત્તિઓ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમારો ઉદ્દેશ આગામી 2થી 3 વર્ષમાં રાજ્યને એક મુખ્ય એડવેન્ચર ટુરીઝમ ડેસ્નિટેશન તરીકે સ્થાપિત કરવાનો છે.”