UP વિધાનસભા ચૂંટણીઃ AAP ભગવાન શ્રીરામના શરણે, સિસોદીયાએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના કર્યા દર્શન
લખનૌઃ ક્યારેક અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિરની જગ્યાએ વિશ્વ વિદ્યાલય બનાવવાની વાત કરનારી આમ આદમી પાર્ટી (આપ)એ ભાજપને પડકાર આપવા માટે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું શરણ લીધું છે. આમ આદમી પાર્ટી અયોધ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. પાર્ટીએ દાવો કર્યો હતો કે, ભાજપના નકલી રાષ્ટ્રવાદને ખુલ્લો પાડશે. આ સાથે જ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરી છે.
અયોધ્યામમાં આપની તિરંગા યાત્રાના એક દિવસ પહેલા જ દિલ્હીના નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદિયા હનુમાન ગઢી પહોંચ્યાં હતા અને રામલલાના દર્શન કર્યાં હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી 2022માં વિધાનસભાની ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરશે.
તેમણે તિરંગાયાત્રા વિશે કહ્યું હતું કે, અમે સમગ્ર રાજ્યમાં તિરંગાયાત્રા કરી રહ્યાં છીએ. રામ મંદિર અને હનુમાન ગઢીને કારણે અયોધ્યા મહત્વપૂર્ણ છે. ભારતીય ઈતિહાસમાં આગવુ મહત્વ છે. ભગવાન રામની પૂજા અને તિરંહા યાત્રા જે અમારા કાર્યને વધારે પવિત્ર બનાવે છે.
તેમણે વધુમાં કહ્યું કે, રામ બધાને છે દરેક વ્યક્તિએ અયોધ્યા આવવું જોઈએ, રામરાજ્ય સુશાસનનો પર્યાય છે અને કોઈ રામ પર રાજનીતિ કરવા અયોધ્યા આવે તો તે અલગ વાત છે. પરંતુ રામ રાજ્ય સરકારનું સૌથી સારુ સ્વરૂપ છે. રામ ભગવાન છે અને તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ.
મનિષ સિસોદીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં અમે 3 વાર સરકાર બનાવી છે. તમામ લોકોએ વિવિધ રાજકીય પાર્ટીઓને જોઈ છે અમે નવા પ્રકારની રાજનીતિ કરીએ છીએ. દિલ્હીમાં અમારી પાસે સંસાધન અને અધિકાર યુપી સરકાર જેટલા નથી. તેમ છતા લોકોને સસ્તી વીજળી, સારી સ્કૂલ અને શુદ્ધ પાણી સહિતની સુવિધાઓ પુરી પાડીએ છે. હવે દિલ્હીવાસીઓ સુશાસન જોઈ રહ્યાં છે.