1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘોઘા-હજીરા બાદ હવે પીપાવાવ-મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે, 6 કલાકમાં મુંબઈ પહોચાશે

ઘોઘા-હજીરા બાદ હવે પીપાવાવ-મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે, 6 કલાકમાં મુંબઈ પહોચાશે

0
Social Share

ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જળમાર્ગનો પરિવહન સેવામાં ઉપયોગ કરવામાં આવે તો સમય અને નાણાની બચત થઈ શકે તેમ છે. ઘોઘા-હજીરા વચ્ચે રો-રો ફેરી સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા અનિયમિત હોવા છતાં તેને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે પીપાવાવ-મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જો આ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે તો પીપાવાવથી મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાશે. માલવાહક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ સારો ફાયદો થઈ શકે તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઘોઘા-હજીરા વચ્ચે ચલાવવામાં આવી રહેલી રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ બાદ કેન્દ્ર સરકાર હવે પીપાવાવ-મુંબઇ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવાની વિચારણા ધરાવે છે અને તેના માટે તાજેતરમાં અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. પિપાવાવ-મુંબઇ વચ્ચે સડકમાર્ગનું અંતર 289 કિ.મી.નું છે અને 15 કલાકની મુસાફરી થાય છે. જ્યારે પિપાવાવ-મુંબઇ વચ્ચે જળ માર્ગનું અંતર 152 નોટિકલ માઇલ છે, જે 6 કલાકમાં જહાજ પૂર્ણ કરી શકે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના ઉદ્યોગોને ગુજરાતમાં સડકમાર્ગે મોકલવા માટેના માલ સામાન ભરેલા ટ્રક મુંબઇથી શિપમાં ચડાવી દેવામાં આવે અને 6 કલાકમાં તે પીપાવાવ પહોંચી શકે તેમ છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં આવેલા સ્ટીલ પ્લાન્ટ, સિમેન્ટ પ્લાન્ટનો માલસામાન મહારાષ્ટ્ર, કર્ણાટક, દક્ષિણ ભારતના રાજ્યોમાં મોકલવા માટે આ સેવા આશિર્વાદ સમાન બની શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મુંબઈ-પીપાવાવ વચ્ચે રો-પેક્સ જહાજની સેવા શરૂ કરવામાં આવે તો   માલ પરિવહનની સાથો-સાથ મુસાફરોનું પણ આસાનીથી પરિવહન થઇ શકે તેમ છે. કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય અગાઉ અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે, અને મુંબઇ ખાતે રો-પેક્સ ટર્મિનલ, જેટી પણ ઉપલબ્ધ છે. હવે પીપાવાવ ખાતે આવી સવલતો માટેની વ્યવસ્થા કરવવાની દિશામાં ડગલું આગળ વધ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code