ચંદ્ર પછી ભારત હવે શુક્ર પર જવાની તૈયારીમાં,ઈસરોના પ્રમુખે સૂર્ય મિશનને લઈને પણ આપ્યું નવું અપડેટ
બેંગલુરુ: ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. આ દરમિયાન ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે ભારત અવકાશ ક્ષેત્રમાં ઘણી વધુ ઊંચાઈઓને સ્પર્શી શકે છે, જેના માટે તેને રોકાણ અને સહયોગની જરૂર છે.
એસ સોમનાથે કહ્યું, “ભારત પાસે ચંદ્ર, મંગળ અને શુક્રની યાત્રા કરવાની ક્ષમતા છે, પરંતુ અમારે આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે.અમને વધુ રોકાણની જરૂર છે અને સ્પેસ સેક્ટરનો વિકાસ થવો જોઈએ. આનાથી સમગ્ર દેશનો વિકાસ થાય, આ અમારું મિશન છે. પીએમ મોદીએ અમને જે વિઝન આપ્યું હતું તેને પૂર્ણ કરવા અમે તૈયાર છીએ.
ઈસરો તરફથી ચંદ્રયાન-3ના સફળ મિશન બાદ સૂર્ય મિશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથે શનિવારે જણાવ્યું હતું કે દેશનું પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1 તૈયાર છે અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે.
તેમણે કહ્યું, “આદિત્ય-એલ1 ઉપગ્રહ તૈયાર છે. તે શ્રીહરિકોટા પહોંચી ગયું છે અને પીએસએલવી સાથે જોડાયેલ છે. ઈસરોનું આગામી લક્ષ્ય તેને લોન્ચ કરવાનું છે. લોન્ચિંગ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં થશે..” આદિત્ય-L1 ઉપગ્રહ પ્રક્ષેપણ પછી લંબગોળ ભ્રમણકક્ષામાં જશે અને ત્યાંથી તે L1 બિંદુ સુધી જશે, જેમાં લગભગ 120 દિવસનો સમય લાગશે.”
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઈસરોના વૈજ્ઞાનિકોની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. દેશ જ નહીં, વિદેશની સ્પેસ એજન્સીઓ ઈસરોને લોખંડી ગણી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બ્રિક્સ સંમેલનમાંથી પરત ફર્યા બાદ ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા સીધા બેંગલુરુ ગયા હતા. આ દરમિયાન તેમણે ઈસરોના સફળ મિશન માટે વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી અને વધુ સહયોગની વાત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા અને જાહેરાત કરી કે ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણની યાદમાં દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.