1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માલધારી સમાજના વિરોધ બાદ આખરે સરકાર ઝૂકી, ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું
માલધારી સમાજના વિરોધ બાદ આખરે સરકાર ઝૂકી,  ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું

માલધારી સમાજના વિરોધ બાદ આખરે સરકાર ઝૂકી, ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતના તમામ મહાનગરોમાં રખડતા ઢોરના ત્રાસ અંગે અવાર-નવાર ફરિયાદો ઊઠતી હતી. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે કડક કાયદો બનાવ્યો હતો. પરંતુ આ કાયદો આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. માલધારી સમાજ દ્વારા આ કાયદો પરત લેવાની માંગ કરવામાં આવી રહી હતી. માલધારી સમાજની વિવિધ રજૂઆતોને જોતા રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા જિતુ વાઘાણીએ આ માહિતી આપી હતી.

રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,  ઢોર નિયંત્રણ બિલ પર કોઈને મુશ્કેલી પડે તેવું રાજ્ય સરકાર કરશે નહીં. તેમણે કહ્યું કે, માલધારી સમાજના આગેવાનો સાથે આજે પણ બેઠક થઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, આ અંગે કોઈને તકલીફ ન પડે એટલે તમામ ચર્ચાના અંતે કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે આ બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. પરંતુ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ આ બિલનો સતત વિરોધ કરી રહ્યો હતો. માલધારી સમાજની માંગ પણ આ બિલને રદ્દ કરવાની હતી. સરકારે માલધારી સમાજ સાથે બેઠકો પણ કરી હતી. સમૂહના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે શહેરોમાં રખડતા ઢોર અંગે જે કાયદો ઘડ્યો હતો તેમાં કડક જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે જાહેર કરેલા બિલમાં પહેલા 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતી. ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર કરવામાં આવી હતી. આ સાથે શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માટે લાયસન્સ લેવું પડશે, તેવી જોગવાઈ પણ કરવામાં આવી હતી. તો મંજૂરીથી જે પશુ રાખવામાં આવશે તેને ટેગ પણ લગાવવો પડશે. કાયદાનો ભંગ કરવા બદલ સજાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. લાયસન્સ મેળવ્યાના 15 દિવસની અંદર પશુને ટેગ લગાવવાની જોગવાઈ હતી. તો જો કોઈ કર્મચારીઓ પશુ પકડવા જાય અને તેના પર હુમલો કરવામાં આવે તો કાર્યવાહી કરવાની જોગવાઈ હતી. હાલ આ કાયદો મુલત્વી રાખવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code